આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે, PM 74 વર્ષના થઈ ગયા છે. મે 2014માં જ્યારે તેઓ પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ઈસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો આટલા મજબૂત હશે, પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતે ઈસ્લામિક દેશો ખાસ કરીને આરબ વર્લ્ડ સાથે ડિપ્લોટમેટિક સંબંધોને પ્રાથમિકતા આપી છે. આ જ કારણ છે કે સાઉદી અરેબિયા, UAE સહિત ઘણા આરબ દેશો સાથે ભારતના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે.
PM મોદીને 15 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું
છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીને લગભગ 15 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. જેમાં ઘણા ઇસ્લામિક દેશોનો પણ સમાવેશ થાય છે. હિન્દુત્વની છબિ ધરાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કેવી રીતે નવા આયામો સર્જ્યા અને ઈસ્લામિક દેશો સાથે સંબંધોને મજબૂત કર્યા તેનું આ ઉદાહરણ છે.
સાઉદી અરેબિયા સાથે અતૂટ મિત્રતા
આરબ દેશના સૌથી મહત્વપૂર્ણ દેશની વાત કરીએ તો આઝાદીના સમયથી સાઉદી અરેબિયા સાથે ભારતના રાજદ્વારી સંબંધો છે. પરંતુ પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન બન્ને દેશો વચ્ચે અતૂટ મિત્રતા જોવા મળી હતી. એપ્રિલ 2016માં વડાપ્રધાન મોદીને સાઉદી અરેબિયાના રિયાદમાં સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફેબ્રુઆરી 2019માં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે ભારતમાં 100 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી અને 6 MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમય દરમિયાન સાઉદી અરેબિયા પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)માં સામેલ થયું. ઓક્ટોબર 2019માં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર રિયાદની મુલાકાત લીધી અને બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ (SPC) કરાર પર હસ્તાક્ષર થયા.
ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધ્યો
ભારત અને સાઉદી અરેબિયા એકબીજાના મહત્વપૂર્ણ વેપારી ભાગીદારો છે. નાણાકીય વર્ષ 2022-23માં બન્ને દેશો વચ્ચેનો 52.76 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર હતો. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી G20 કોન્ફરન્સ દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા સહિત 7 દેશો વચ્ચે આર્થિક કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. બન્ને દેશો ઉપરાંત અમેરિકા, જર્મની, ઈટાલી, ફ્રાન્સ અને UAE પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા ખાડી દેશો અને દક્ષિણ એશિયા વચ્ચે વેપાર વધુ સરળ બનશે.
UAE સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો
ભારત અને UAE વચ્ચે ડિપ્લોમૅટ સંબંધો વર્ષ 1972માં સ્થાપિત થયા હતા. પરંતુ PM મોદીના કાર્યકાળ દરમિયાન બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થયા છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે, વડાપ્રધાન મોદી તેમના કાર્યકાળ દરમિયાન 7 વખત UAEની મુલાકાત લઈ ચૂક્યા છે. પાંચ વર્ષ પહેલા તેમને UAEના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી નવાજવામાં આવ્યા હતા. UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ પણ ઘણી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. શેખ મોહમ્મદ બિન ઝાયદ આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. UAE ભારતનું મુખ્ય વ્યૂહાત્મક અને વેપારી ભાગીદાર છે. બન્ને દેશો વચ્ચે CEPA કરાર હેઠળ વર્ષ 2022માં દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
UAEમાં લગભગ 35 લાખ ભારતીયોની વસ્તી
UAEમાં લગભગ 35 લાખ ભારતીયો રહે છે, જે UAEની કુલ વસ્તીના લગભગ 35 ટકા છે. બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને વેપાર સંબંધોની સાથે સાથે સાંસ્કૃતિક સંબંધો પણ મજબૂત છે. UAE માં 100થી વધુ આંતરરાષ્ટ્રીય ભારતીય શાળાઓ છે, જ્યાં CBSE અને કેરળ બોર્ડનું શિક્ષણ આપવામાં આવે છે. ફેબ્રુઆરી 2024માં પીએમ મોદીએ આબુ ધાબીમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, પીએમએ તેને સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનું પ્રતીક ગણાવ્યું હતું.
કતાર સાથે મિત્રતાની મિસાલ
વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન ભારત અને કતારની મિત્રતાએ એક મિસાલ સ્થાપિત કરી છે. લગભગ 7 વર્ષ પહેલા જ્યારે 4 ગલ્ફ દેશોએ કતાર પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે ભારતે કતારને ઘણી મદદ કરી હતી. તાજેતરમાં જ કતારે ભારત સાથેની મિત્રતા જાળવી રાખતા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને જેલમાંથી મુક્ત કર્યા હતા, જેને ભારત સરકાર અને પીએમ મોદી માટે મોટી ડિપ્લોમૅટ જીત ગણવામાં આવી હતી. આ 8 લોકોને કતારની કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ લગભગ 3 મહિનાની ડિપ્લોમૅટ વાતચીત અને કાયદાકીય પ્રક્રિયા બાદ કતારે તેમને મુક્ત કર્યા હતા.
ભારત અને કતાર વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ
બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ ઝડપથી વધી રહ્યો છે. પીએમ મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ભારતની રાજકીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રા ડેવલપમેન્ટ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોકાણના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર ચર્ચા થઈ હતી. માર્ચ 2015માં હમાદ અલ થાનીની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે 6 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આગામી વર્ષે 2016ના છેલ્લા મહિનામાં કતારના વડાપ્રધાને પણ ભારતની મુલાકાત લીધી હતી.
8 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાને કતારની મુલાકાત લીધી
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જૂન 2016માં પણ કતારની મુલાકાત લીધી હતી. લગભગ 8 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન કતારની મુલાકાતે ગયા હતા. પીએમની મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે 7 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ કતાર ગયા હતા, ખાસ વાત એ હતી કે પીએમની આ મુલાકાતની અગાઉથી જાહેરાત કરવામાં આવી ન હતી. કતારમાંથી મુક્ત થયા બાદ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી ભારત પહોંચ્યા હતા, ત્યારબાદ પીએમ મોદીએ કતારની મુલાકાત લીધી હોવાની માહિતી આપવામાં આવી હતી.
બેહરીન-ભારતના મજબૂત સંબંધો
જો બેહરીનની વાત કરીએ તો 15 લાખની વસ્તીવાળા દેશમાં લગભગ 3.5 લાખ ભારતીયો રહે છે. જે બન્ને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો મોટો આધારસ્તંભ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2019માં બેહરીનની બે દિવસીય રાજકીય મુલાકાત લીધી હતી. તેમને બેહરીનના વડાપ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલીફાએ આમંત્રણ આપ્યું હતું. કોઈપણ ભારતીય વડાપ્રધાનની બેહરીનની આ પ્રથમ મુલાકાત હતી.
શ્રી કૃષ્ણ મંદિરના પુનઃનિર્માણ માટે શિલાન્યાસ કર્યો
તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ બેહરીનમાં 200 વર્ષ જૂના શ્રી કૃષ્ણ મંદિરના પુનઃનિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન ભારત અને બેહરીન સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા સંમતિ થયા હતા.
બેહરીન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા
કોરોના મહામારી દરમિયાન બેહરીન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. ભારત સરકારે બેહરીનને કોવિશિલ્ડના 1 લાખ ડોઝ ભેટમાં આપ્યા, જ્યારે બેહરીની સરકારે ત્યાં રહેતા ભારતીયો માટે પૂરતી તબીબી સેવાઓ પૂરી પાડી. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર વર્ષ 2022-23માં બન્ને દેશો વચ્ચે લગભગ 1980 મિલિયન ડોલરનો વેપાર થયો છે.
PM મોદીને બેહરીનના સર્વોચ્ચ સન્માનથી સન્માનિક કરાયા
25 ઓગસ્ટ 2019ના રોજ વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન બેહરીને તેમને દેશના સર્વોચ્ચ સન્માન ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને બેહરીનના રાજાએ આપ્યું હતું, જેના પરથી બનેને દેશો વચ્ચેના સંબંધોની નિકટતા સમજી શકાય છે.


