અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશો વચ્ચે ટેરિફ પર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમના આ નિવેદનથી હવે એવી અટકળો શરૂ થઈ રહી છે કે, બંને દેશો વચ્ચે ટેરિફનો મુદ્દો ઉકેલાઈ જશે અને ભારત અમેરિકાના બદલો લેનારા ટેરિફથી બચી જશે. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો ઝડપથી વિકસી રહ્યા છે.
ટ્રમ્પે મોદીને ‘નિકટના મિત્ર’ ગણાવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પીએમ મોદીની પ્રશંસા કરી છે. અને તેમને ‘નિકટના મિત્ર’ અને ‘સ્માર્ટ નેતા’ ગણાવ્યા છે. ઉપરાંત, વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે, ટ્રમ્પે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ ઉમેર્યું કે બંને દેશો વચ્ચે ટેરિફ અંગેની વાતચીત સારી રીતે ચાલી રહી છે. ટ્રમ્પ અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ વાટાઘાટો 26 માર્ચ, 2025 ના રોજ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. જેમાં યુએસ સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક ટીમ ભારતની મુલાકાતે આવી હતી. આ ટીમ 29 માર્ચ સુધી ભારતમાં રહેશે અને ચર્ચા કરશે. હવે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ વડા પ્રધાન મોદીને મિત્ર ગણાવ્યા અને કહ્યું કે “વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે”, ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચે ટેરિફ અંગે કરાર થઈ ગયો છે.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલની પ્રતિક્રિયા
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ કહ્યું છે કે વાટાઘાટો “સારી રીતે આગળ વધી રહી છે” અને દ્વિપક્ષીય કરાર બંને દેશો માટે ફાયદાકારક રહેશે. જો દ્વિપક્ષીય વેપાર કરાર થાય છે, તો ભારત 2 એપ્રિલથી અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ‘પારસ્પરિક ટેરિફ’થી બચી જશે. બંને દેશો 2 એપ્રિલની સમયમર્યાદા પહેલા વેપાર સોદા પર કરાર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ કરાર થશે. તો ભારત-અમેરિકા વેપારને મોટો વેગ મળશે.
ભારત ટેરિફ ઘટાડી શકે
અમેરિકા તરફથી બદલો લેવાના ટેરિફથી બચવા માટે, ભારતે 23 અબજ ડોલરની આયાત પર ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતે બદામ, ક્રેનબેરી, પિસ્તા અને અખરોટ જેવા યુએસ કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી (ટેરિફ) ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે, ભારત અમેરિકાથી આયાત થતા LNG પરની આયાત ડ્યુટી ઘટાડવાનું પણ વિચારી રહ્યું છે. ભારતે તાજેતરમાં અમેરિકન બોર્બોન વ્હિસ્કી પરનો ટેરિફ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કર્યો છે.
ટેરિફ વોરની શું અસર થશે?
જો અમેરિકા ભારત પર “પારસ્પરિક ટેરિફ” નીતિ લાગુ કરે છે તો તેની ભારત અને અમેરિકા બંને પર આર્થિક, વેપાર અને વ્યૂહાત્મક અસર પડશે. ભારત પણ અમેરિકા પર બદલો લેવા માટે ટેરિફ લાદી શકે છે. બંને દેશો વચ્ચે ટેરિફ વોર શરૂ થવાની અસર ભારતની નિકાસ પર પડશે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. કુલ નિકાસના 18% ફક્ત અમેરિકામાં જાય છે.


