ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ ખાસ તૈયારીઓમાં બિઝી છે. ભારતે પહેલી વન ડે નાગપુરમાં 4 વિકેટે અને બીજી વન ડે કટકમાં 4 વિકેટે જીતીને ઈંગ્લેન્ડ સામેની 3 મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે.
અમદાવાદમાં વન ડે ઈન્ટરનેશનલ મેચને કારણે AMCનો મોટો નિર્ણય
12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને AMCએ મેચના દિવસે અમદાવાદમાં AMTS બસ સેવાઓને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. AMTS બસ સામાન્ય દિવસોમાં રાતે 11 વાગ્યા સુધી ચાલે છે. આ સિવાય AMCએ રૂટ અને બસની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આ બસ સ્ટેડિયમથી વાસણા, મણીનગર, ઓઢવ, નારોલ અને ઉજાલા સર્કલ સુધીનાં રૂટ પર દોડાવવામાં આવશે.
મેટ્રો ટ્રેન પણ 12 વાગ્યા સુધી દોડશે
આ સિવાય મેચને ધ્યાનમાં રાખીને GMRCએ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.
જાણો મોટેરા સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય
રાત્રિના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે કે જે આખા દિવસ દરમિયાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.


