3 જૂનના રોજ IPL 2025નું ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને હરાવીને પોતાને નામ કર્યું. 18 વર્ષ પછી RCBએ IPLની પહેલી ટ્રોફી પોતાના નામે કરી. આવામાં RCB એ બીજા દિવસે એટલે કે 4 જૂને બેંગ્લુરુમાં ફેન્સ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું.
આ કાર્યક્રમનો ભાગ બનવા માટે લાખો ફેન્સ પહોંચ્યા હતા. પરંતુ અચાનક ભાગદોડ મચી ગઈ અને 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા. હવે આ મામલે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે પોતાનું મૌન તોડ્યું છે. તેમને પ્રેસ કોન્ફરન્સમાં બેંગ્લુરુમાં થયેલી ઘટના પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ગૌતમ ગંભીરનું મોટું નિવેદન આવ્યું સામે
6 જૂને ભારતીય ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. આના એક દિવસ પહેલા 5 જૂને ગૌતમ ગંભીર અને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે બેંગ્લુરુમાં બનેલી ઘટનાને દુઃખદ ગણાવી હતી અને કહ્યું હતું કે મને ક્યારેય એવું ન હતું લાગતું કે આપણે રોડ શો કરવાની જરૂર છે.
2007માં જીત્યા પછી પણ મારો આ જ મત હતો. લોકોના જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આ વાત કહેતો રહીશ. ભવિષ્યમાં આપણે હજુ વધુ જાગૃત રહેવાની જરૂર છે. આ બંધ દરવાજા પાછળ કે સ્ટેડિયમની અંદર આવું કરો. જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે. આપણે બધા આ માટે જવાબદાર છીએ. મને આશા છે કે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય. ગંભીરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તે રોડ શો જેવા કાર્યક્રમના સમર્થનમાં નથી.
જસપ્રીત બુમરાબ પર શું બોલ્યો ગૌતમ ગંભીર?
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર તમામ 5 મેચ નહીં રમે. આ વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે અત્યાર સુધી નક્કી નથી કે જસપ્રીત કઈ 3 ટેસ્ટ મેચ રમશે. કેટલાક પરિણામો અને સિરીઝ આગળ વધવા પર નિર્ભર રહેશે. અમે પર્યાપ્ત બોલરો પસંદ કર્યા છે. અમારા ઘણા ઝડપી બોલરો કોઈપણ પરિસ્થિતિમાંથી અમને ટેસ્ટ મેચ જીતાડી શકે તેવી સારી સ્થિતિમાં છે. જ્યારે તમારી પાસે જસપ્રીત બુમરાહ જેવો ખેલાડી હોય છે, ત્યારે તે તેના પર નિર્ભર કરે છે કે તે કેટલી મેચ રમે છે , તે અમારા માટે ખૂબ જ સારું છે.