- NCCના DG લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંઘના હસ્તે કરાયું લોકાર્પણ
- 1965, 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા જવાનો બન્યા સહભાગી
- નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને “શ્રદ્ધાંજલિ પાર્ક” નામ અપાયું
કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલ યુદ્ધ સ્મારકને આજે 23 એપ્રિલના રોજ યુદ્ધના નાયકોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન, 1965 અને 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક નાયકો હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 23 એપ્રિલ 2024ના રોજ બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા આયોજિત એક ગૌરવપૂર્ણ કાર્યક્રમ દરમિયાન NCCના DG લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંઘે તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને ખૂલ્લું મૂક્યું હતું. આ કાર્યક્રમમાં 1965 અને 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક નાયકોએ હાજરી આપી હતી.

મહત્વનું છે કે, નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને “શ્રદ્ધાંજલિ પાર્ક” નામ આપવામાં આવ્યું છે, જ્યાં હવે મધ્ય ગુંબજની બંને બાજુએ બે નવી તકતીઓ સ્થાપવામાં આવી છે જેના પર કચ્છના રણમાં બિઅર બેટ, પોઇન્ટ 84 અને અન્ય સ્થળોએ લડાયેલા ભીષણ યુદ્ધના ઐતિહાસિક અહેવાલોને નક્શીકામ દ્વારા આલેખિત કરવામાં આવ્યા છે. 1965ના યુદ્ધના આપણા શહીદ નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપતા, આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રણ ક્ષેત્રમાં 1965ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં લડેલા યુદ્ધ નિવૃત્ત સૈનિકોની હાજરી આ કાર્યક્રમની વિશેષતા હતી. 3 પેરા (કુમાઉં) અને 2 સિખિલ બટાલિયનના આ યુદ્ધ નિવૃત્ત સૈનિકો તેમની વૃદ્ધાવસ્થા અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ હોવા છતાં, લુધિયાણા અને જયપુરથી આટલે સુધીની મુસાફરી કરીને અહીં આવ્યા છે. આ કાર્યક્રમમાં ભુજની ચૌદ વીરાંગનાઓએ પણ હાજરી આપી હતી, જેમણે 1971ના યુદ્ધ દરમિયાન ભુજ હવાઇપટ્ટીના પુનઃનિર્માણમાં ભારતીય સશસ્ત્ર દળોને મદદ કરી હતી અને જેના કારણે તે સમયના ઘટનાક્રમનો આપણી તરફેણમાં નિર્ણાયક વળાંક થયો હતો.

યુદ્ધ નિવૃત્ત સૈનિકો અને વીરાંગનાઓએ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને આપેલા અમૂલ્ય યોગદાનની સ્વીકૃતિ તરીકે મુખ્ય અતિથિએ તેમને સન્માનિત કર્યા હતા. આ સ્મારકમાં નેશનલ કેડેટ કોરના પસંદગીના કેડેટ્સ પણ હાજર હતા જેઓ રાષ્ટ્રના બહાદુર લોકોની ગરિમાપૂર્ણ હાજરીમાં દેખીતી રીતે મંત્રમુગ્ધ થયા હતા.


