- ફ્રાન્સમાં અટકાયત કરાયેલા યાત્રીઓ મુદ્દે મોટો ખુલાસો
- ભારતીય મુસાફરોથી ભરેલા વિમાનને 3 દિવસ પછી ઉડાન ભરવાની પરવાનગી મળી
- ફ્રેન્ચ તરફથી કહેવામાં આવ્યું છે કે મુસાફરોને ભારત મોકલવામાં આવશે
ફ્રાન્સમાં રોકાયેલા ભારતીય મુસાફરોથી ભરેલા વિમાનને ઉડવાની પરવાનગી મળી ગઈ છે. આ વિમાનને ફ્રેન્ચ અધિકારીઓએ માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ નજીક રોક્યું હતું. લાંબી પૂછપરછ બાદ એક ફ્રેન્ચ કોર્ટે રવિવારે કહ્યું હતું કે વિમાન હવે તેની આગળની ઉડાન ભરવા માટે મુક્ત કરવામાં આવ્યું છે. ફ્રેન્ચ તરફથી કહેવામાં આવ્યું છે કે મુસાફરોને ભારત મોકલવામાં આવશે. જો કે, ભારતીય સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આની પુષ્ટિ કરતું કોઈ નિવેદન આવ્યું નથી. આ વિમાન 303 મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું તેમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય મૂળના છે.
લિજેન્ડ એરલાઇન્સનું એરબસ A340 એરક્રાફ્ટ શુક્રવારે ઇંધણ ભરવા માટે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફ્રેન્ચ એજન્સીને વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી ત્યાર બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.
બે દિવસ સુધી પૂછપરછ ચાલી
વિમાનને રોક્યા બાદ ફ્રેન્ચ સત્તાવાળાઓએ વેત્રી એરપોર્ટના એક મોટા હોલમાં તમામ મુસાફરોની અટકાયત કરી હતી. પોલીસ અને અન્ય અધિકારીઓએ ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યોની લાંબી પૂછપરછ કરી હતી. તમામ ક્રૂ મેમ્બરોની પૂછપરછ કર્યા બાદ તેમને રવિવારે ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લેન બંધ હોવાની માહિતી મળ્યા બાદ એરલાઈન્સના વકીલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કંપનીના વકીલ લિલિયાના બકાયોકોએ દાણચોરીમાં કોઈપણ સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિની જાણકારી લીધી હતી. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનો સ્ટાફ એરપોર્ટ પર હાજર રહ્યો હતો.
ફ્રાંસનું જે એરપોર્ટ પર આ ઘટના બની છે તે પેરિસથી 150 કિલોમીટર દૂર છે. સૂત્રોનું માનીએ તો વિમાનમાં સવાર 10 મુસાફરોએ અધિકારીઓ પાસે આશ્રય માંગ્યો હતો. ત્યાર બાદ ફ્રેન્ચ અધિકારીઓને માનવ તસ્કરીની શંકા હતી. ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું છે કે પ્લેનના મુસાફરોમાં 11 સગીર એવા છે જેમની સાથે કોઈ નથી. ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેમને માનવ તસ્કરી સંબંધિત કોઈ પુરાવા મળ્યા છે કે નહીં.


