ઈરાનમાં વધી રહેલા ઈઝરાયલી હવાઈ હુમલાઓ વચ્ચે સેંકડો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે પોતાના એપાર્ટમેન્ટના ભોંયરામાં છુપાઈ રહ્યા છે. ગોળીબારના અવાજો, બોમ્બ વિસ્ફોટોના પડઘા અને ઈન્ટરનેટની ધીમી ગતિ વચ્ચે વિદ્યાર્થીઓ દિવસ-રાત ડરી રહ્યા છે. આ ભયાનક પરિસ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી હતી.
વિસ્ફોટના કરાણે ડરનો માહોલ
કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી ઈમ્તિસલ મોહીદીન તેહરાનની શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થી છે. તેણે કહ્યું કે, ‘શુક્રવારે સવારે 2:30 વાગ્યે જોરદાર વિસ્ફોટો સાંભળતા હું જાગીને ડરના કરાણે ભોંયરામાં ભાગ્યો હતો. ત્યારથી હું શાંતિથી સૂઈ શક્યો નથી.’ યુનિવર્સિટીની આસપાસ વિસ્ફોટ થઈ રહ્યા છે અને એક વિસ્ફોટ માત્ર 5 કિલોમીટરના અંતરે થયો છે.
ભારતીય વિદ્યાર્થીનું છલકાયું દર્દ
શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં 350થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ વિદ્યાર્થીઓ ભયના માહોલ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. યુનિવર્સિટીએ અભ્યાસ બંધ રાખ્યો છે તો બીજી તરફ બહાર જવાની પણ મનાઈ છે. તેથી ડરભર્યા માહોલમાં આખો દિવસ એપાર્ટમેન્ટના ભોંયરામાં છુપાઈએ છીએ. આખી રાત બોમ્બમારાનો અવાજ સંભળાય છે અને ત્રણ દિવસથી સુતા નથી. જોકે, વિદ્યાર્થીઓ કહે છે કે ભયનું વાતાવરણ એટલું ઊંડું છે કે ફક્ત સલાહ અને સંદેશાઓ જ રાહત આપી રહ્યા નથી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં અમે ભારત સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને શક્ય તેટલી વહેલી તકે અહીંથી બહાર કાઢો.
બોમ્બમારાથી ડરનો માહોલ: વિદ્યાર્થીઓ
તેમણે એમ કહ્યું હતું કે યુનિવર્સિટી તરફથી બહુ મદદ મળી નથી. ભારતીય દૂતાવાસ વોટ્સએપ દ્વારા સતત સંપર્કમાં છે પરંતુ અમે યુનિવર્સિટી તરફથી મદદની આશા છોડી દીધી છે. અમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હવે અમારા એપાર્ટમેન્ટમાં બંધ રહીને દિવસો વિતાવી રહ્યા છે. ડર એટલો બધો છે કે અમારી પાસે બહાર જવાની હિંમત નથી. ઈરાનના મર્યાદિત હવાઈ ક્ષેત્ર અને સતત બોમ્બમારાથી વિદ્યાર્થીઓને ખબર નથી કે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે. તેઓ હવે ફક્ત ભારત પાછા ફરવાની આશા રાખી રહ્યા છે.
ભારતીય દૂતાવાસે આપી આ સલાહ
ઈરાનમાં બગડી રહેલી હાલતના કારણે તેહરાનમાં ભારતીય દૂતાવાસે એક જાહેર સલાહકાર જારી કરીને તમામ ભારતીય નાગરિકો અને પીઆઈઓને ઘરની અંદર રહેવા અને દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી ટેલિગ્રામ લિંક સાથે જોડાવા માટે કહ્યું છે. આ લિંક ફક્ત તે લોકો માટે છે જેઓ હાલમાં ઈરાનમાં છે. ભારતીય દૂતાવાસે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, અમે બધા ભારતીય નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ પૂરી પાડવામાં આવેલી ટેલિગ્રામ લિંક સાથે જોડાવા માટે જેથી તેઓ પરિસ્થિતિ સંબંધિત નવીનતમ અપડેટ્સ મેળવતા રહે આ સાથે જ મદદ માટે ઈમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે.