- યુદ્ધ જો લાંબુ ચાલશે તો ઘણા દેશોની મુશ્કેલી વધશે
- રેલવે થી શિપિંગ સુધી એકબીજાને લિંક કરવાની યોજના
- G-20 સમિટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો પ્રોજેક્ટ
હમાસના આતંકવાદી હુમલા પછી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. જેમાં ઈઝરાયલે આતંકવાદી હુમલા બાદ તરત જ યુદ્ધની જાહેરાત કરી અને તેની સાથે જ ગાઝા પટ્ટી પર આક્રમણ શરૂ કરી દીધુ હતું. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયલ આ યુદ્ધ ટૂંકા સમયગાળામાં જીતી શકે છે, પરંતુ જો યુદ્ધ રશિયા-યુક્રેનની જેમ લાંબુ ચાલે છે તો ભારત અને આરબ દેશોને મોટું નુકસાન થઈ શકે છે.
આ યુદ્ધ લાંબુ ચાલે છે તો ભારત દ્વારા હાલમાં જ G-20 સમિટ દરમિયાન લોન્ચ કરવામાં આવેલા ‘ઈન્ડિયા-મિડલ ઈસ્ટ ઈકોનોમિક કોરિડોર’ પર પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોંધનીય બાબાત છે કે આ પ્રોજેક્ટમાં ઈઝારયલ પણ ભાગ લઈ રહ્યું છે અને તેના કારણે યુદ્ધની સ્થિતિમાં પ્રોજેક્ટ શરૂ થવામાં પણ વિલંબ આવી શકે છે. બીજી તરફ ભારતનો આ પ્રોજેક્ટ ચીનના BRI પ્રોજેક્ટને ટક્કર આપવા માટેનો મુખ્ય હેતુ છે.
નોંધનીય બાબાત એ છેકે, ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ વચ્ચે ત્રણેય ક્ષેત્રોમાં શિપિંગ અને રેલવેથી એકબીજાને લિંક કરવા માંગે છે. જેના માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ I2, U2 (ઈઝરાયલ, યુએઈ અને યુએસ કોરિડોર)ના માટે કરાર થયા હતા પરંતુ ઈઝરાયલ અને હમાસ યુદ્ધના કારણે પરિસ્થિતિ બગડી છે અને બંને દેશો વચ્ચેનો પ્રોજેક્ટ અટકી ગયો છે.
બીજી તરફ અમેરિકા, સાઉદી અરબ અને ઈઝરાયલ વચ્ચેના સંબંધ પણ સામાન્ય થવાની સાથે ભારતથી યુરોપ સુધી એક આર્થિક કોરિડોર બનાવવા માટે પણ તમામ પ્રયત્ન કરી રહ્યું છે. આ કોરિડોર મિડલ ઈસ્ટમાંથી થઈને પસાર થઈ રહ્યો છે. જો કે ઈઝરાયલ અને હમાસના યુદ્ધના કારણે તેના પર સંકટ જોવા મળી રહ્યું છે.
આ પ્રોજેક્ટ માટે સૌથી મોટો પ્રશ્ન એ છેકે, અમેરિકા, બ્રિટન અને તેના સહયોગી દેશો જેમકે ફ્રાન્સ, જર્મની અને ઈટલી જેવા દેશો ઈઝરાયલના સમર્થન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઈરાન, સીરિયા અને કતાર જેવા દેશો હમાસની તરફ છે. જ્યારે UAE તરફથી બેલેન્સ વલણ રાખવામાં આવી રહ્યું છે. ભારત તરફથી આ કોરિડોર એટલા માટે પણ મહત્વનો છે કારણ કે તેમાં ખાડીના દેશો અને યુરોપના દેશોને જોડવાની પણ યોજના છે. હાલની સ્થિતિમાં કોરિડોરનું કામ ઝડપી કરવા માટે પ્રયત્ન કરશે.