- આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
- ભારતીય ટીમની આવતીકાલે થશે જીત
વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલ મેચ આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દુનિયાભરના કરોડો ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ફેન્સ આ મેચ સાથે ઈમોશનલ કનેક્શન છે. કારણ કે, 2019 વર્લ્ડકપમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી આ વખતે ક્રિકેટ ફેન્સને આશા છે કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને તે હારનો બદલો લેશે. છેલ્લા 20 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ સારૂં પ્રદર્શન કર્યું છે, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે. જેના 3 મુખ્ય કારણો છે. આ 3 કારણ ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ અપાવી શકે છે.
અત્યારે શાનદાર ફોર્મમાં ટીમ ઈન્ડિયા
અત્યારે ટીમ ઈન્ડિયા એક અલગ જ ફોર્મમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપના લીગ તબક્કામાં લગભગ એકતરફી રીતે 8 મેચ જીતી છે. આ વર્લ્ડકપમાં ભારતે તમામ 9 ટીમોને હરાવી છે અને આ પહેલા એશિયાકપમાં પણ ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. આ વર્લ્ડકપમાં ભારતે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમોને 100 રન બનાવવાની તક આપી નહતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ આ વર્લ્ડકપની શરૂઆતમાં શાનદાર ક્રિકેટ રમ્યું હતું, પરંતુ તે પછી તેને સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી અત્યારે ભારતીય ટીમનું ફોર્મ ન્યૂઝીલેન્ડ કરતા સારૂં છે.
ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેન
આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ આ તમામ બેટ્સમેનોએ વર્લ્ડકપમાં ઘણા રન બનાવ્યા છે. રોહિત શર્માએ 503 રન, શુભમન ગીલે 270 રન, વિરાટ કોહલીએ 594 રન (વર્લ્ડકપમાં સૌથી વધુ), શ્રેયસ અય્યરે 421 અને કેએલ રાહુલે 347 રન બનાવ્યા છે. આ પાંચેય મળીને અત્યાર સુધીમાં 5 સદી અને 15 ફિફ્ટી ફટકારી છે.. આ આંકડા એ સાબિત કરવા માટે પૂરતા છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.
ટીમ ઈન્ડિયાના ટોપ-5 બોલર
બેટિંગ હંમેશાથી ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે, પરંતુ આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ જોઈને દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો માની રહ્યા છે કે આ વખતે ભારતની બોલિંગ દુનિયાની સૌથી ખતરનાક બોલિંગ લાઈનોમાંથી એક છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા, આ પાંચ બોલરો વિકેટ લેનારા છે અને એકલા હાથે કોઈપણ સમયે મેચનું પરિણામ બદલી શકે છે. આ વર્લ્ડકપમાં જસપ્રીત બુમરાહે 17 વિકેટ, મોહમ્મદ શમીએ 16 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 16 વિકેટ, કુલદીપ યાદવે 14 અને મોહમ્મદ સિરાઝે 12 વિકેટ લીધી છે. મતલબ કે, ટીમ ઈન્ડિયાના આ પાંચ બોલરોએ મળીને અત્યાર સુધીમાં કુલ 75 વિકેટ લીધી છે. આ દર્શાવે છે કે આ સમયે ટીમ ઈન્ડિયા કોઈ એક બોલર પર નહીં પરંતુ તમામ બોલરો પર નિર્ભર છે અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો માટે તેનો સામનો કરવો સરળ રહેશે નહીં.


