- સાચી ટિકિટ ઓળખવા માટે પોલીસે આપી માહિતી
- ટિકિટ વેચાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે કરી ઝડપી પાડી
- 152 જેટલી બનાવટી ટિકિટ કબ્જે કરવામાં આવી
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ક્રિકેટ રસિકો ટિકિટ માટે પણ પડાપડી કરી રહ્યા છે. આવામાં નકલી ટિકિટોથી પણ સાવધાન રહેવું પડશે. આ સાથે જ અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી.
અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, અસલી ટિકિટમાં ચાર સિક્યુરિટી ફિચર્સ છે, જે જાણવા ખૂબ જ જરૂરી છે. જેના પરથી ખ્યાલ આવી શકે કે ટિકિટ અસલી છે કે નકલી. આ ચાર સિક્યુરિટી ફિચર્સ આરોપી ડુપ્લીકેટ ટિકિટમાં નાંખી શક્યા નહોતા.
- કલર કોડ : ઓરિજિનલ ટિકિટના ઉપરના ભાગમાં કલર કોડ છે. ટિકિટને લાઇટના અજવાળામાં જોતાં તેમાં અલગ કલર દેખાય છે.
- મેક્રો લેન્સ : ટિકિટની પાછળના ભાગમાં નીચે તરફ કેટલાક નિયમો લખવામાં આવ્યા છે. જે માત્ર મેગ્નિફાઇલ ગ્લાસ દ્વારા જ વાંચી શકાય તેટલા નાના અક્ષર છે. જે ડુપ્લિકેટ ટિકિટમાં નથી.
- વોઇડ ફીચર્સ : ટિકિટના પાછળ સૌથી નીચે વોઇડ ફિચર્સ અપાયું છે. આછા સિલ્વર રંગની સ્ટ્રીપમાં સિક્યુરિટી ફિચર્સ દેખાય છે.
- બારકોડ : ટિકિટના આગળના ભાગમાં નીચે બારકોડ આપવામાં આવ્યો છે. આરોપીઓએ નકલી ટિકિટમાં બારકોડ તો મૂક્યો છે, પરંતુ તે નકલી છે. સ્ટેડિયમમાં એન્ટ્રી સમયે સ્કેન કરવામાં આવે ત્યારે તે સ્કેન થઇ શકે નહીં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેચની બનાવટી 108 ટિકિટો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે વધુ 40 ટિકિટો વેચાણ કરેલી કબ્જે કરી છે અને પાંચમા આરોપી પાસેથી 4 ટિકિટ કબ્જે કરી એમ કુલ 152 ટિકિટો કબ્જે કરાઇ છે. બનાવટી ટિકિટો વેચવાના કૌભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલ છે, તે અંગે પૂછપરછ કરવા પકડાયેલા ચારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.