ગૃહ રાજયમંત્રીની હાજરીમાં તૈયાર થયેલી પ્રશ્નાવલી : રાજકોટમાં ફરજ બજાવી ચુકેલાઓ પણ ગાંધીનગરમાં હાજર થયા
રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગૃહ રાજયમંત્રીને સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં સવા કલાક મીટીંગ ચાલી હતી જે પૂર્ણ થયા બાદ રાજકોટમાંથી હટાવવામાં આવેલા આઇએએસ, આઇપીએસ તેમજ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી ફરજ બજાવેલા તમામ અધિકારીઓને પુછપરછ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતાં. આ જ સવારથી જ ગાંધીનગર ખાતે તમામ અધિકારીઓની પુછપરછ શરૂ કરવામાં આવી છે. તમામના નિવેદનો લીધા બાદ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર ખાતે કાલે સીટના વડા અને ગૃહરાજય મંત્રી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજયના પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સીટનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ જવાબદાર અધિકારીઓને પુછપરછ માટે ગાંધીનગર બોલાવવામાં આવશે ત્યારબાદ તાકીદે ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ જોઇન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને રાજકોટ અગ્નિકાંડ બાબતે તમામની પુછપરછ કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરજ બજાવી ગયેલા અધિકારીઓને પણ બોલાવવામાં આવશે. તેમાં કલેકટર અરૂણ મહેશ બાબુ, વર્તમાન કલેકટર પ્રભવ જોશી, ૨૦૧૯ થી ૨૦૨૧માં ફરજ બજાવી ચુકેલા મ્યુનિ.કમિશનર અને હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીફ એડમીન ઉદિત અગ્રવાલ, ૨૦૨૧ થી ૨૦૨3 સુધી ફરજ બજાવી ચુકેલા હાલ કચ્છના કલેકટર અમિત અરોરા તેમજ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી ફરજ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ સિવિલ ડિફેન્સમાં રહેલા મનોજ અગ્રવાલ, ૨૦૨૨માં માત્ર ત્રણ મહિના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે રહેલા ખુરશીદ અહેમદને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને તેઓની પણ આગામી દિવસમાં પુછપરછ કરવામાં આવશે.
સીટના વડાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઇ હતી ત્યારબાદ તમામ અધિકારીઓને પુછપરછ માટે બોલાવવાના આદેશ આપવામાં આવ્યા હતાં. પુછપરછમાં જે કંઇ મુદ્દે પ્રશ્ન કરવામાં આવશે તે તમામ પ્રશ્નો ગૃહ રાજયમંત્રીની હાજરીમાં બનાવવામાં આવ્યા છે અને આ જ મુજબ અધિકારીઓને પુછવામાં આવશે. પુછપરછના અંતે રિપોર્ટ તૈયાર થશે અને તે મુજબ આગામી તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ બાદ જે કંઇ રિપોર્ટ તૈયાર થશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓને કોઇપણ ભોગે છોડવામાં નહી આવે તેવો સખત રિપોર્ટ તૈયાર કરાશે.
મંજૂરી સમયે ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરજ બજાવી ગયેલા અધિકારીઓ
અધિકારી હોદો રાજકોટમાં કયારે હતા અત્યારે કયાં
અરૂણ મહેશબાબુ રાજકોટ કલેકટર ૨૪ જૂન ૨૦૨૧ થી ૨ એપ્રિલ ૨૦૨3 એમ.ડી.યુજીવીસીએલ
પ્રભવ જોશી રાજકોટ કલેકટર 3 એપ્રિલ-૨૦૨3થી અત્યારે ફરજ પર હાલમાં રાજકોટ કલેકટર
ઉદિત અગ્રવાલ રાજકોટ મ્યુ.કમિશનર ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૨૪ જૂન ૨૦૨૧ ચીફ. એડ. સ્ટેચ્યુ ઓફ યુનિટી
અમિત અરોરા રાજકોટ મ્યુ.કમિશનર ૨૪ જૂન ૨૦૨૧ થી ૪ એપ્રિલ ૨૦૨3 કલેકટર કચ્છ-ભુજ
આનંદ પટેલ રાજકોટ મ્યુ.કમિશનર ૫ એપ્રિલ ૨૦૨3 થી ૨૮ મે ૨૦૨૪ વેઇટીંગ ફોર પોસ્ટ
મનોજ અગ્રવાલ રાજકોટ પો.કમિશનર ૧૮ જુલાઇ ૨૦૧૮ થી ૨ માર્ચ ૨૦૨૨ ડીજીપી હોમગાર્ડ-સિવિલ ડિફેન્સ
ખુરશીદ અહેમદ ઇન્ચાર્જ પો.કમિશનર રાજકોટ ૬ માર્ચ ૨૦૨૨ થી ૨૬ મે ૨૦૨૨ એડીજી, પોલીસ મોર્ડનાઇઝેશન
રાજુ ભાર્ગવ રાજકોટ પો.કમિશનર ૨૬ મે ૨૦૨૨ થી ૨૮ મે ૨૦૨૪ વેઇટીંગ ફોર પોસ્ટ


