ભગવાન વેદ વ્યાસે વેદોના જેવું ભાગવત નામનું પુરાણ રચ્યું. વેદ વ્યાસજીના પુત્ર શુકદેવજી ભાગવતજીના સાચા અધિકારી છે, કારણ કે વેદ વ્યાસજીએ તો બધા વેદોનો સાર સંગ્રહ કરી ભાગવતજીની ઉત્પત્તિ કરી, પરંતુ શુકદેવજીએ તેને લોકજીવનમાં મૂક્યું અને લોકોનાં જન્મ, મૃત્યુ અને કર્મના ભ્રમ દૂર કર્યાં. દેહભાવથી પર, આખી દુનિયાને આત્મરૂપ જોનાર વિરક્ત અને વિરાગી શુકદેવજીની ઉત્પત્તિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. શુકદેવજી મહારાજની જન્મની કથા પણ ઘણી રોમાંચક છે.
વ્યાસજીને વટિકા નામની પત્ની હતી. તેમણે વ્યાસજીની અનુમતિથી પુત્રપ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે વરદાન આપ્યું કે તેને એક મહાન તેજસ્વી પુત્ર થશે. યથા સમયે તેને ગર્ભ રહ્યો. વટિકા ગર્ભ સ્થિર થયેલો જાણી ધર્મપરાયણ થઈ. પ્રભુનાં નામ સ્મરણ, મંત્રજાપ વગેરે કરતી. નવ માસનો સમય પૂર્ણ થયો, પરંતુ બાળકનો જન્મ થયો નહીં. બાર વર્ષ સુધી બાળક ગર્ભની બહાર આવ્યું જ નહીં. ગર્ભસ્થ બાળક સ્પષ્ટ શબ્દોમાં વાતચીત કરી શકતું. ગર્ભમાં રહીને આ બાળકે વેદ-ઉપનિષદ, પુરાણ આદિનું સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. જ્ઞાનપ્રાપ્તિ થયા છતાં તે ગર્ભમાંથી બહાર ન આવ્યું.
આ ઘટનાથી વ્યાસજી ગભરાય છે. તેમણે ગર્ભસ્થ શિશુને વિનંતી કરી કે તે ગર્ભમાંથી બહાર આવે. તેમણે કહ્યું, `તમારી માતાને બહુ કષ્ટ થાય છે, તેથી તેનો છુટકારો કરો.’ ગર્ભસ્થ બાળકે કહ્યું, `મેં અનેક યોનિમાં જન્મ લીધો છે. હું બહુ ભટક્યો છું. સંસારની માયામાં મારે પડવું નથી. હું ગર્ભમાં રહી પ્રભુભજન કરીશ.’
વ્યાસજીએ કહ્યું, `વત્સ, તું ગર્ભની બહાર આવ, તને ભગવાનની માયા સ્પર્શ પણ નહીં કરે અને વત્સ, તું વધુ સમય હજી ગર્ભમાં વ્યતીત કરીશ તો તારી માતાનું મૃત્યુ થશે.’
પિતાના શબ્દોની અસર થઈ અને શિશુએ કહ્યું, `જો ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં આવી તમારી વાતની પુષ્ટિ આપે તો હું ગર્ભમાંથી બહાર આવું. વ્યાસજીએ ભગવાનને પ્રાર્થના કરી તેથી ભગવાન સ્વયં પ્રગટ્યા. તેમણે આશ્વાસન આપતાં કહ્યું, `મારી બનાવેલી આ માયા તારા પર સહેજ પણ અસર નહીં કરે. તું ગર્ભમાંથી બહાર આવ.’ પ્રભુની વાત સાંભળતાંની સાથે જ શુકદેવજી મહારાજ તે જ ક્ષણે માતાના ગર્ભમાંથી બહાર પધાર્યા. બહાર આવી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. માતા-પિતાને નમસ્કાર કર્યા અને સીધા વન તરફ પ્રયાણ કર્યું. શુકદેવજી મહારાજ વનમાં જવા નીકળ્યા છે. સ્નેહવશ અને પુત્રપ્રેમથી વશ વ્યાસજી તેમને રોકવાના અથાગ પ્રયત્નો કરે છે, પરંતુ શુકદેવજી માન્યા નહીં. શુકદેવજી આગળ આગળ જાય છે ને પાછળ વ્યાસજી છે. શુકદેવજી સરોવર પાસેથી જઈ રહ્યા હતા જ્યાં અપ્સરાઓ નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી. દિગંબર એવા શુકદેવજી તે સરોવર પાસેથી પસાર થયા ત્યારે પોતાના ધ્યાનમાં મસ્ત હતા. અપ્સરાઓને લજ્જા ન આવી, પરંતુ વ્યાસજી ત્યાંથી પસાર થયા તો અપ્સરાઓ લજ્જાઈ ગઈ અને વસ્ત્રો પહેરી લીધાં. વ્યાસજી પણ નિર્વિકાર હતા, વયોવૃદ્ધ અને પવિત્ર ભાવવાળા હતા. વ્યાસજીએ પૂછ્યું, `મારો પુત્ર હમણાં જ અહીંથી દિગંબર અવસ્થામાં પસાર થયો ત્યારે તમે વસ્ત્ર ન પહેરો અને મને જોઈને વસ્ત્ર ધારણ કર્યાં તેનું કારણ શું?’
અપ્સરાઓએ કહ્યું, `આપ વૃદ્ધ છો. પિતા સમાન છો. આપના મનમાં વિકાર કે વાસના નથી તેની અમને ખાતરી છે, પરંતુ આપનામાં દેહદૃષ્ટિ છે. આપને સ્ત્રી-પુરુષનો ભેદ ખ્યાલ છે. જ્યારે આપના પુત્રને દેહદૃષ્ટિ જ નથી, માટે શરમાવાનું કોઈ કારણ જ નથી.’
વ્યાસજી પુન: શુકદેવજીને વાળવા માટે આગળ જાય છે. `હે પુત્ર, પાછો વળ. હું તને માયામાં નહીં ફસાવું.’ શુકદેવજીએ વ્યાસજીને જવાબ આપ્યો, `તમે મારા પિતા નથી. હું તમારો પુત્ર નથી. પિતા-પુત્રના સંબંધ દેહના હોય છે, આત્માના નહીં. આત્મા કોઈનો પુત્ર નથી કે કોઈનો પિતા નથી. માટે આપ પાછા વળી જાવ.’ ત્યારબાદ શુકદેવજી નર્મદાકિનારે બ્રહ્મના ધ્યાનમાં લીન બનીને બેઠા. વ્યાસજીની મર્યાદા હતી. તેઓ નર્મદાને ઓળંગી ન શકે માટે તેઓ પણ નર્મદાકિનારે પોતાના પુત્રના પાછા ફરવાની પ્રતીક્ષા કરવા લાગ્યા.
વ્યાસજીએ ભાગવતની રચના તો કરી, પણ તેના ઉત્તરો અધિકારી શુકદેવજી જેવા ત્યાગી વિરક્ત પુરુષ જ બની શકે. આથી શુકદેવજીને વનમાંથી આશ્રમમાં પરત ફરે તેવી યુક્તિઓ અને ઉપાય શોધવા લાગ્યા. વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતના શ્લોકો ભણાવ્યા અને વનમાં જઈ આ શ્લોકોનું ગાન કરવા કહ્યું. લાકડાં કાપતી વખતે, ફળો લેતી વખતે, ગાયોને વિચરણ કરાવતી વખતે શિષ્યો શ્લોકગાન કરે છે. તેના શબ્દો શુકદેવજીને સંભળાય છે. તેઓ ભાગવતજીના શ્લોકોનું શ્રવણ કરી પ્રભાવિત થાય છે. તેમના મનમાં રહેલાં સંશયોનું સમાધાન થાય છે. આથી શુકદેવજીએ શિષ્યોને પૂછ્યું, `તમે કોણ છો?’
શિષ્યોએ કહ્યું, `અમે વ્યાસજીના શિષ્યો છીએ. આ શ્લોકો ભગવાનના તેજ સ્વરૂપ ભાગવતજીના છે. આ શાસ્ત્રની રચના અમારા ગુરુજીએ કરી છે. આ ભાગવત અઢાહ હજાર શ્લોકોનો ખજાનો છે.’
આ સાંભળીને શુકદેવજીએ વિચાર્યું કે વ્યાસજી તો મારા પિતા છે. હું મારા પિતાજી પાસે જઈને ભાગવત શીખીશ. મારા પ્રભુના સ્વરૂપને હૃદયમાં પધરાવીશ અને પ્રભુમય બની જઈશ. ત્યારબાદ શુકદેવજી અને વ્યાસજીનું પુન: મિલન થાય છે. શુકદેવજીની એક જ હઠ હતી કે, `પિતાજી, મને ભાગવત ભણાવો.’
વ્યાસજી ભણાવે છે, શુકદેવજી ભણે છે. પુત્ર પિતા પાસેથી વારસો મેળવે છે. ભાગવત ભણી શુકદેવજી પિતા કરતાં સવાયા બને છે. વ્યાસજીને પણ પોતે જ રચેલા ભાગવતના કથામૃતનું પાન કરવા આનંદઘાટ પર બેસવું પડે છે. એ ત્યાં બેસે પછી જ એમને કથામૃત પ્રાપ્ત થાય છે આ જ તો નિયમ છે.
– ઘનશ્યામ ગોસ્વામી