ઇન્ટરનેશનલ ટર્મિનલનું કામ ૨૦ ટકા બાકી છે : દિગંત બહોરા
ફલાઇટ માટે હજુ કોઇ કાર્યવાહી થઇ નથી : હિરાસર એરપોર્ટ ડિરેકટર
રાજકોટના હીરાસર પાસે બનેલુ નવુ એરપોર્ટ હાલ તો નામ પુરતુ જ ઇન્ટરનેશનલ કક્ષાનું છે. હાલમાં તો માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ જ ઉડાન ભરી રહી છે. ઇન્ટરનેશનલ હવાઇ સેવા માટેના નવા ટર્મિનલનું કામ માંડ ૮૦ ટકા આસપાસ પુરુ થયુ છે. બાકીનું કામ ક્યારે પુરુ થશે એ હજુ કંઇ નક્કી ન કહેવાય તેમ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ડિરેકટર દિગંત બહોરાએ જણાવ્યુ હતુ. વધુમાં કહ્યુ હતુ કે, કામ પુર થયા પછી નેશનલ એરપોર્ટ ઓથોરિટીની ટેકનિકલ સહિતની ટીમ ચકાસણી માટે આવશે. આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા માટે એન.ઓ.સી. અને લીલીઝંડી આપ્યા પછી સતાવાર તારીખ જાહેર કરવામા આવશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે પણ હજુ સુધી સતાવાર તારીખ કે મહિનો જાહેર કરવામા આવ્યો નથી. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે અલગથી નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનના 12 તો અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યા છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેક પોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ડિરેકટર દિગંત બહોરાના કહેવા મુજબ એકંદરે ૮૦ ટકા જેટલુ કામ પુરુ થઇ ચુક્યુ છે. પણ ઇન્ટર નેશનલ હવાઇ સેવા ક્યારે ચાલુ થશે તેની કોઇ ફિક્સ તારીખ કે મહિનો હજુ સુધી જાહેર કરવામા આવ્યો નથી.
રાજકોટથી ઓપરેટ થતી ડોમેસ્ટિક ફ્લાઈટ
-
દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને સુરતની ફલાઇટ દૈનિક છે.
-
ગોવા અને પુણેની ફલાઇટ અઠવાડિયામાં3 દિવસ તો અમદાવાદની 50 વાગ્યાની ફલાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે.
-
આગામી વિન્ટર શેડ્યુલ એટ્લે કે 27 ઓકટોબરથી 29 માર્ચ દરમિયાન 16 ફ્લાઈટ ઉડાન ભરવાની છે. જેમાં 16માંથી 13 ફલાઇટ દૈનિક ઉડાન ભરશે તો પુણેની 05 વાગ્યાની ફલાઇટ સોમવાર, મંગળવાર અને રવિવારે, દિલ્હીની 20.00 વાગ્યાની ફલાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર તો દિલ્હીની જ 20.30 વાગ્યાની ફ્લાઈટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.
એરઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ ૨૭ ઓક્ટોબરથી ફરી શરૂ કરવાની જાહેરાત
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ઇન્ડિગોની 9 અને એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ મુંબઈ, દિલ્હી, ગોવા, અમદાવાદ, બેંગાલુરુ અને પુણે તો 1 ચાર્ટર્ડ સુરત સુધી ઉડાન ભરી રહી છે, ત્યારે એર ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ દિલ્હીની સવારની ફ્લાઈટ ફરી શરૂ કરવા માટેનું એલાન કર્યું છે. આ ફ્લાઈટ આગામી 27મી ઓક્ટોબરથી ઉડાન ભરશે. સવારે 6.55 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટ આવશે અને 7.35 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ રીતે રાજકોટથી દિલ્હી જવા માટે વહેલી સવારની ફ્લાઈટ નો લાભ મુસાફરોને મળી શકશે.
ઓકટોબરથી સ્ટાર એર એરલાઇન્સ અમદાવાદ-વડોદરાની ફ્લાઇટ શરૂ કરશે
આગામી ઓક્ટોબર 2024 થી માર્ચ 2025 સુધી સ્ટાર એર એરલાઇન્સ દ્વારા રાજકોટ થી અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી છે. જેમા આ ફ્લાઇટ 16.30 વાગ્યે અમદાવાદ થી રાજકોટ પહોંચશે અને આ ફ્લાઇટ 17.00 વાગ્યે રાજકોટ થી વડોદરા જવા માટે રવાના થશે જે ફ્લાઈટ વડોદરા થી રાજકોટ 19.10 વાગ્યે પહોંચશે અને રાજકોટ થી 19.40 વાગ્યે આ ફ્લાઈટ અમદાવાદ જવા માટે ઉડાન ભરશે.
ઇન્ડિગો શરૂ કરશે હૈદરાબાદની ફ્લાઇટ
ઇન્ડિગો દ્વારા હૈદરાબાદની નવી ફ્લાઇટ 16 સપ્ટેમ્બર થી શરૂ કરવા માટે એલાન કર્યું હતુ અને નવી બેંગ્લોર બેઝ સ્ટાર એર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લેટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે.
હાઇ-વેથી સીધા એરપોર્ટ સંકુલ પહોંચે તે રીતે અલગથી બ્રીજની ડિઝાઇન ફાઇનલ
આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવા-જવા માટે હાઇવે પર ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદભવે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.100 કરોડના ખર્ચે 1.50 કિલો મીટરનો ફલાય ઓવરબ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગતિ શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત PMO દ્વારા રાજકોટ જિલ્લાનાં અલગ અલગ વિકાસકામોની સમીક્ષા કરવામા આવી હતી, આ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનો ડીપીઆર(ડેઈલી પ્રોગ્રેસ રિપોર્ટ) બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે. આ બ્રિજને રાજકોટથી એરપોર્ટ જતા મુસાફરો અમદાવાદ હાઈવેમાં ટ્રાફિકમાં ફસાઈ ન જાય અને સીધા જ એરપોર્ટ પર પહોચી જાય એ રીતે જોડી દેવામાં આવશે.