– એફપીઆઈનો ચીનમાં રસ ઘટી જતા ભારતને લાભ
Updated: Nov 18th, 2023
મુંબઈ : ઘરઆંગણેની ઈક્વિટીઝ બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણનું મૂલ્ય વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ૧૫ ટકા વધી ૬૫૧ અબજ ડોલર રહ્યું હતું. વિદેશી રોકાણકારોનો ચીનમાં રસ ઘટી રહ્યો હોવાથી ભારતને તેનો લાભ જોવા મળી રહ્યો છે.
ઘરઆંગણેની ઈક્વિટીઝ બજારનો સારો દેખાવ તથા વિદેશી રોકાણકારોના મજબૂત ઈન્ફલોઝને પગલે મૂલ્યમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨ના ત્રિમાસિક ગાળામાં વિદેશી રોકાણકારોના ઈક્વિટીઝ રોકાણનું મૂલ્ય ૫૬૬ અબજ ડોલર રહ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકની સરખામણીએ મૂલ્યમાં ચાર ટકા વધારો થયો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે
.એફપીઆઈના રોકાણ મૂલ્યમાં વધારો છતાં, ભારતીય ઈક્વિટી બજારની માર્કેટ કેપમાં એફપીઆઈનું યોગદાન જે જૂન ત્રિમાસિકમાં ૧૭.૩૩ ટકા રહ્યું હતું તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સાધારણ ઘટી ૧૬.૯૫ ટકા રહ્યું હતું.
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં ૫.૩૮ અબજ ડોલરની નેટ ખરીદી કરી છે. ચીનના અર્થતંત્રના નબળાઈની સામે ભારતમાં કંપનીઓની સ્થિર અર્નિંગ્સ વૃદ્ધિ તથા મજબૂત ફન્ડામેન્ટલને પગલે વિદેશી રોકાણકારોએ ભારત માટે હકારાત્મક અભિગમ ધરાવે છે.
જો કે અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો થતાં ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના ગાળામાં જુલાઈની સરખામણીએ વિદેશી રોકાણકારોની પીછેહઠ જોવા મળી હતી.