પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રને હરાવ્યું. આજે મુલ્લાનપુર મેદાનમાં આવેલા દર્શકોને ઉત્સાહ શું હોય છે તેનો ખ્યાલ આવી ગયો હશે. આ મેચમાં પ્રથમ રમતી પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જવાબમાં KKR ટીમ ફક્ત 95 રન જ બનાવી શકી. સામાન્ય રીતે, આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબના બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતાં કોલકાતાના બેટ્સમેનોને પરસેવો પાડી દીધો.
કેકેઆરની શરૂઆત રહી ખરાબ
112 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે કેકેઆરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બંને ઓપનિંગ બેટ્સમેન 7 રનના સ્કોરે આઉટ થઈ ગયા. ક્વિન્ટન ડી કોક 2 રન બનાવીને આઉટ થયો અને સુનીલ નારાયણ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. આ ઓછા સ્કોરવાળી મેચમાં, અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 55 રનની પાર્ટનરશિપ કરીને KKR ની જીતની શક્યતા વધારી દીધી. મેચમાં કોલકાતા તરફથી રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રહાણેએ 17 રન બનાવ્યા.
7 રનની અંદર પડી ગઈ 5 વિકેટ
112 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, કેકેઆરે એક સમયે ૩ વિકેટના નુકસાને 72 રન બનાવ્યા હતા. આ પછી, અંગક્રિશ રઘુવંશીના આઉટ થવાથી શરૂ થયેલો ક્રમ અટક્યો નહીં અને કોલકાતાની ટીમે માત્ર 7 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાની વિકેટ પડી હતી.
યુઝવેન્દ્ર ચહલના ‘ચક્રવ્યૂહ’માં ફસાયું કોલકાતા
KKR ટીમની હાલત ખરાબ કરવામાં યુઝવેન્દ્ર ચહલનો સૌથી મોટો ફાળો હતો. તેને 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ લીધી. ચહલે અજિંક્ય રહાણે અને ખાસ કરીને અંગક્રિશ રઘુવંશીની વિકેટ લઈને મેચ પંજાબના પક્ષમાં કરી દીધી. આ સિવાય તેને રિંકુ સિંહ અને રમનદીપ સિંહની વિકેટ પણ લીધી.


