IPL 2025ની ક્વોલિફાયર 2 મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેમનો મુકાબલો હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે થશે.
મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતાં 203 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ આ લક્ષ્ય સરળતાથી હાંસિલ કરી લીધું. આ જીતનો હીરો બન્યો ટીમનો કેપ્ટન શ્રેયસ ઐયર, જેને શાનદાર અડધી સદી ફટકારી. તેના સિવાય નેહલ વાઢેરા અને જોશ ઈંગ્લિસે પણ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી.
શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ત્રીજી ટીમ ફાઈનલમાં
શ્રેયસ ઐયરે એક ખાસ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તે આઈપીએલ ઈતિહાસનો પહેલો એવો કેપ્ટન બની ગયો છે, જેને ત્રણ અલગ-અલગ ટીમોને ફાઈનલમાં પહોંચાડી છે. 2020માં તેને દિલ્હી કેપિટલ્સ, 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને હવે 2025માં પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડી છે. પંજાબે આ સીઝન શાનદાર પ્રદર્શન કરતાં પોઈન્ટ ટેબલમાં પણ પહેલું સ્થાન મેળવ્યું છે. જે આજ સુધી એમએસ ધોની અને રોહિત શર્મા પણ ન કરી શક્યા તે શ્રેયસ ઐયરે કરી બતાવ્યું છે.
શ્રેયસ ઐયરની તોફાની ઈનિંગ
પંજાબની ઈનિંગની શરુઆત ભલે ખરાબ રહી હોય, પરંતુ પ્રભસિમરન સિંહ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ તેના બાદ જોસ ઈંગ્લિસ, શ્રેયસ ઐયર અને નેહલ વાઢેરાએ જવાબદારી સંભાળી. જોશ ઈંગ્લિસે બુમરાહની એક ઓવરમાં જ 20 રન બનાવ્યા અને તેને પોતે 38 રનની ઈનિંગ રમી. નેહલ વાઢેરાએ 29 બોલામાં 48 રનની તોફાની ઈનિંગ રમી અને ટીમને જીત તરફ લઈ ગયો.
કેપ્ટન શ્રેયસ ઐયરે 27 બોલમાં અડધી સદી ફટકારી અને તે અંત સુધી ઉભો રહ્યો. તેને 41 બોલમાં 87 રનની ઈનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સામેલ છે. મુંબઈના બોલરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. અશ્વિની કુમારે ટીમ માટે સૌથી વધુ 2 વિકેટ લીધી.