IPL 2025 વચ્ચે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે મોટા સમાચાર છે. તેને પોતાની રાજ્ય ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતા જયસ્વાલ હવે ગોવા તરફથી રમવા માંગે છે.
આ માટે તેને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને ઈમેલ લખીને NOC માંગ્યું છે. એમસીએના એક સૂત્રએ પુષ્ટિ આપી કે “તેને અમારી પાસે NOC માંગ્યું છે અને ગોવા જવા માટે વ્યક્તિગત કારણો આપ્યા છે.”
મીડિયા રિપોર્ટ મુજબ મુજબ ડાબોડી સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે મુંબઈ છોડીને ગોવા જવાનું નક્કી કર્યું છે. તે રણજીની આગામી સિઝનમાં ગોવા માટે રમવા માંગે છે. આ પહેલા અર્જુન તેંડુલકરે આ કરી બતાવ્યું છે. પહેલા તે મુંબઈ માટે રમ્યો અને પછી ગોવા ગયો.
સેમીફાઈનલ મેચ રમ્યો ન હતો યશસ્વી જયસ્વાલ
17 ફેબ્રુઆરીએ વિદર્ભ સામેની રણજી ટ્રોફી 2024-25 સેમીફાઈનલ મુકાબલા પહેલા યશસ્વી જયસ્વાલનો મુંબઈની રણજી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પગની ઘૂંટીમાં દુખાવો હોવાને કારણે મેચ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. ડાબોડી બેટ્સમેન યશસ્વી તેના અંડર-19 ના દિવસોથી મુંબઈ માટે રમી રહ્યો છે. થોડા સમય પહેલા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે બેવડી સદી ફટકાર્યા બાદ તે ચર્ચામાં આવ્યો હતો.
શું તે કેપ્ટનશીપ માટે ટીમ છોડી રહ્યો છે?
મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ છોડ્યા પછી, જયસ્વાલ ગોવાનું નેતૃત્વ કરી શકે છે. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ એ મહત્વનું છે કે યશસ્વી જયસ્વાલે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી ઈમેલ દ્વારા NOC માંગ્યું છે.
ફેન્સ થયા હેરાન
ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના આધારે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું. આ પછી તેને ક્યારેય પાછળ વળીને જોયું નહીં. હવે ફેન્સ આશ્ચર્યચકિત છે કારણ કે જયસ્વાલ મુંબઈની ટીમ છોડવા માંગે છે, તેનાથી ફેન્સ હેરાન થઈ ગયા છે.
જયસ્વાલનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર
યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36 મેચ રમી છે, જેમાં તેને 66 ઈનિંગ્સમાં 60.85 ની એવરેજથી 3712 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેને 13 સદી અને 12 અડધી સદી ફટકારી છે. તેને 33 લિસ્ટ A મેચોમાં 1526 રન બનાવ્યા છે. તેને 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
મુંબઈ માટે ક્યારે કર્યું ડેબ્યૂ?
વર્ષ 2019 માં, જયસ્વાલે છત્તીસગઢ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે છેલ્લે મુંબઈ માટે 23 જાન્યુઆરી 2025ના રોજ જમ્મુ અને કાશ્મીર સામે રમ્યો હતો.


