રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ ટ્રોફી જીતનો જશ્ન મનાવ્યો. પરંતુ આ જશ્ન વધુ સમય સુધી ચાલી શક્યો નહીં કારણ કે સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ એકઠા થયા હતા અને ત્યાં ભાગદોડ મચી ગઈ.
ભાગદોડ થતાં 11 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બુધવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ એક નિવેદન જાહેર કરીને દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ કરી વિનંતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે “અમે મીડિયામાં આવેલી દુર્ઘટનાથી ખૂબ જ દુ:ખી છીએ, જેમાં બપોરે ટીમના પહોંચવા પર બેંગ્લુરુમાં ફેન્સ એક જગ્યા પર એકઠાં થયા હતા.
દરેકની સલામતી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરે છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતાં જ, અમે તાત્કાલિક અમારા શેડ્યુલમાં ફેરફાર કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે અમારા બધા સમર્થકોને સુરક્ષિત રહેવા વિનંતી કરીએ છીએ.
RCBએ જીત્યું પહેલું ટાઈટલ
RCBએ મંગળવારે અમદાવાદમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતું . બેંગ્લુરુના જીતના જશ્ન માટે એક સન્માન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ટીમની એક ઝલક જોવા માટે હજારો ફેન્સ સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા અને પોલીસ તેમને નિયંત્રણમાં ન રાખી શકી. આ માટે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે આ ફેન્સ પ્રવેશદ્વારની બહાર ભાગદોડનો ભોગ બન્યા હતા.
આ ભાગદોડ ત્યારે થઈ જ્યારે હજારો ફેન્સ અલગ-અલગ દરવાજાઓથી સ્ટેડિયમમાં પ્રવેશવા માટે એકઠા થયા. પોલીસ માટે તેના પર નિયંત્રણ મેળવવાનું મુશ્કેલ બન્યું જેના કારણે અફરાતફરી ફેલાઈ ગઈ અને ખુશીનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. બપોરે 3:30 વાગ્યા સુધીમાં ફેન્સની સંખ્યા અનેકગણી વધી ગઈ જેના કારણે પોલીસ અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓએ બધા દરવાજા બંધ કરવા પડ્યા જેથી જેમની પાસે ટિકિટ ન હતી તેઓ પ્રવેશ ન કરી શકે.