ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની ફરી એકવાર આઈપીએલમાં રમતા જોવા મળી રહ્યા છે. ધોનીના ફેન્સ હંમેશા તેને રમતા જોવા માગે છે અને સીઝન-18માં, ધોની એક અનકેપ્ડ ખેલાડી તરીકે રમી રહ્યો છે.
મેગા ઓક્શન પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ એમએસ ધોની આ સિઝનમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી.
ઋતુરાજ ગાયકવાડ IPL 2025માંથી બહાર થયા બાદ ધોની CSKનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. બીજી તરફ, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ધોનીને આઈપીએલમાં રમવાના બીસીસીઆઈના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
BCCIના નિર્ણયથી કેમ નાખુશ હતા સુનીલ ગાવસ્કર?
સુનિલ ગાવસ્કરે સ્પોર્ટસ્ટાર માટે તેમની કોલમમાં લખ્યું છે કે “આટલા વર્ષોમાં કોઈ પણ અનકેપ્ડ ખેલાડીને યાદ કરવો મુશ્કેલ છે જેને મોટી રકમમાં ખરીદવામાં આવ્યો હોય અને તેને ટીમમાં પોતાનો સમાવેશ યોગ્ય ઠેરવ્યો હોય. BCCI એ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને ભારતીય ક્રિકેટના હિતોનું રક્ષણ કરવા માટે આ ખેલાડીઓ પર પગાર મર્યાદા બદલવી જોઈએ.”
IPLમાં ખેલાડીઓની પસંદગી પર ઉઠ્યા સવાલો!
સુનિલ ગાવસ્કરે કોલમમાં લખ્યું છે કે, “લગભગ 10 માંથી 10 વખત, તે ફક્ત સારા નસીબ, જૂના નસીબ, દાદા-દાદીના સારા કર્મ અથવા કોઈ એવું શુકન હોય છે જે એક અનકેપ્ડ ખેલાડીને કરોડોમાં લઈ જાય છે. માલિકો તેમના સલાહકારો પર આધાર રાખે છે, મોટે ભાગે કમ્પ્યુટર જાણકારો જેમને રમતનું બહુ ઓછું જ્ઞાન હોય છે પરંતુ તેમની પાસે ડેટા હોય છે અને તેઓ વિચારે છે કે તેમાં ખેલાડીની ક્ષમતાનો જવાબ છે. તેમને જે ડેટા મળે છે તે દેશની ઘણી સ્થાનિક રાજ્ય લીગમાંથી આવે છે. આ લીગમાંથી મળેલા સ્કોર કમ્પ્યુટરમાં ફીડ થાય છે અને આ ખેલાડી માટે તેમની બોલી લડાઈનો આધાર બની જાય છે.
તેમને આગળ લખ્યું છે કે “તેમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય ખેલાડીને રમતા અથવા વિરોધી ટીમ કેવી છે તે જોયું નથી. શું તે પડકારજનક હતું? શું તે સ્પર્ધાત્મક હતું? આ એવી વસ્તુ છે જે ડેટામાં બિલકુલ બંધબેસતી નથી. બાઉન્ડ્રી કેટલી મોટી હતી? પિચ કેવી હતી અને હવામાનની સ્થિતિ કેવી હતી? આ બીજી વસ્તુ છે જે કદાચ ડેટા બેંકમાં બંધબેસતી નથી. જ્યારે રન બનાવવામાં આવ્યા હતા અથવા જ્યારે વિકેટ લેવામાં આવી હતી ત્યારે મેચની પરિસ્થિતિ કેવી હતી તે બાબતો ભાગ્યે જ ધ્યાનમાં લેવામાં આવે છે. જો સ્કાઉટ તરીકે કોઈ ભૂતપૂર્વ ખેલાડી હોય, તો કદાચ તેના શબ્દો એટલા મહત્વના નથી અને કોઈપણ રીતે, સ્કાઉટ્સ ઓક્શનના ટેબલ પર બેસતા નથી, ખરું ને?
સીએસકે માટે સીઝન-18 રહી ખૂબ જ ખરાબ
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન ખૂબ જ ખરાબ રહી છે. બહારની વાત તો ભૂલી જાઓ, આ ટીમ ઘરે પણ જીતી શકતી નથી. ટુર્નામેન્ટની શરૂઆતમાં, ઋતુરાજ ગાયકવાડ CSK ની કેપ્ટનશીપ કરતા જોવા મળ્યા હતા, પરંતુ ગાયકવાડ ઈજાને કારણે બહાર થયા પછી, ધોનીએ ફરી એકવાર કેપ્ટનશીપ સંભાળી.
અત્યાર સુધીમાં, CSK એ 11 મેચ રમી છે, જેમાંથી ટીમ 9 મેચ હારી છે, જ્યારે ધોનીની ટીમ ફક્ત 2 મેચ જીતી શકી છે. હાલમાં, CSK પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.


