ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે, બંને દેશને આર્થિક રીતે અને અન્ય રીતે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. યુદ્ધના કારણે મધ્ય પૂર્વની સાથે સાથે દુનિયાભરમાં સંકટ વધી રહ્યું છે. તેની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી તુર્કીયેની રાજધાની ઈસ્તાંબુલ પહોંચ્યા છે. અહીં તેમને તુર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોગન સાથે મુલાકાત કરી છે. બંનેની વચ્ચે યુદ્ધને લઈને બેઠક થઈ અને ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ છે.
યુદ્ધના કારણે બંને દેશને થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન
આ બેઠક બાદ અર્દોગને મોટો કૂટનીતિક મેસેજ દુનિયાને આપ્યો છે. તેમને કહ્યું કે તુર્કીયે અમેરિકા-ઈરાનની વચ્ચે મધ્યસ્થતા કરવા માટે પૂરી રીતે તૈયાર છે. રાષ્ટ્રપતિ અર્દોગને આ વાત પર ભાર આપ્યો કે યુદ્ધને ખત્મ કરવા માટે ઈરાન અને અમેરિકાના અધિકારીઓની વચ્ચે સીધી રીતે વાતચીત થવી જરૂરી છે. તેને બને તેટલું ઝડપી વાત કરી લેવી જોઈએ, જેથી ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને સમાપ્ત કરીને પાટા પર પરત ફરી શકે.
OICના શિખર સંમેલનમાં બંને નેતાઓ વચ્ચે થઈ મુલાકાત
તુર્કીયેના રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ નિવેદન જાહેર કરતા કહ્યું કે ઈરાનના પરમાણુ વિવાદથી જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત દ્વારા જ ઉકેલ લાવવો એકમાત્ર રસ્તો છે. બળનો ઉપયોગ કરીને તેનો ઉકેલ લાવવો શક્ય નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અને તુર્કીયેના રાષ્ટ્રપતિની વચ્ચે મુલાકાત ઈસ્લામી સહયોગ સંગઠન (OIC)ના શિખર સંમેલન દરમિયાન થઈ છે. આ સંમેલનમાં તુર્કીયેના રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ હાજર હતા. તુર્કીયેએ ઈરાન-ઈઝરાયેલની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ઘણા દેશો સાથે વાતચીત કરી છે.