- ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થતા તેનું સત્તાવાર પરિણામ જાહેર કરાયું
- ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને જીતવા પૂરતા વોટ ન મળ્યા
- શુક્રવારે બંને ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા યોજાશે
ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં કોઈપણ ઉમેદવારને જીતવા માટે પૂરતા મત મળ્યા નથી. આ પરિણામોએ હવે રાષ્ટ્રપતિની ચૂંટણીને ઘણી જટિલ અને રસપ્રદ બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલા વિવિધ ઉમેદવારોમાં સુધારાવાદી નેતા મસૂદ પેઝેશ્કિયન અને કટ્ટરપંથી સઈદ જલીલી વચ્ચે કટ્ટર મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ કોઈ પણ પ્રમુખપદ ધારણ કરવા માટે પૂરતા મત મેળવી શક્યું નથી. તેથી હવે ઈરાનમાં આ બંને ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી.
ઈરાનના ચૂંટણી પ્રવક્તાએ જણાવ્યું કે શુક્રવારે પેઝેશ્કિયન અને જલીલી વચ્ચે સીધી સ્પર્ધા થશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેનું ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કુલ 2 કરોડ 45 લાખ મતોમાંથી પેજેશકિયનને 1 કરોડ 4 લાખ વોટ અને જલીલીને 94 લાખ વોટ મળ્યા. સંસદના કટ્ટરપંથી સ્પીકર મોહમ્મદ બઘેર કાલિબાફને 33 લાખ મત મળ્યા અને શિયા ધાર્મિક નેતા મુસ્તફા પોરમોહમ્મદીને લગભગ બે લાખથી વધુ મત મળ્યા. ઈરાનના કાયદા અનુસાર, જો કોઈ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળે તો જ તેને વિજેતા જાહેર કરી શકાય છે અને જો નહીં, તો ટોચના બે ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે.
ઈરાનની રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઈતિહાસ શું છે?
ઈરાનના પ્રમુખપદની ચૂંટણીના ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું છે. વર્ષ-2005માં જ્યારે કટ્ટરપંથી મહમૂદ અહમદીનેજાદે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અકબર હાશેમી રફસંજાનીને હરાવ્યા હતા. ઇસ્લામીએ કહ્યું કે પરિણામને દેશની ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા ઔપચારિક મંજૂરીની જરૂર પડશે, પરંતુ ઉમેદવારોએ પરિણામને પડકાર્યું નથી. ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું. ઈરાનના કટ્ટર રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મે મહિનામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, જેના કારણે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વ્યાપક તણાવ છે અને ઈરાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.


