- ભાજપે વિવાદિત નિવેદનો કરનારા નેતાઓની ટિકિટ કાપીને સરાહનીય પગલું ભર્યું છે,
- પીએમને લખેલા પત્રમાં ઉલ્લેખ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકારતાં આભાર વ્યક્ત કર્યો
કેન્દ્રીય ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડે આગામી લોકસભા ચૂંટણી 2024માં દેશની એકતા, અખંડતા, અને ભાઈચારાને નુકસાન પહોંચાડનારાઓને ટિકિટ નહીં આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકારતાં આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીને પત્ર લખીને તેમનાં વખાણ પણ કરવામાં આવ્યાં છે.કેન્દ્રીય ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના પ્રવ્ક્તા સૈયદ મુઝફ્ફર અલીએ સોમવારે જણાવ્યું કે મુસલમાનોના ધાર્મિક અને સામાજિક બુદ્ધિજીવી વર્ગોની સંસ્થા ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના રાષ્ટ્રીય મહાસચિવ અલ્લામા બુનઈ હસનીએ વડાપ્રધાનને પત્ર લખીને ધન્યવાદ પાઠવ્યા છે અને મળવા માટે સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું છે કે ભાજપે આ લોકસભાની ચૂંટણીમાં એવા નેતાઓની ટિકિટ કાપીને સરાહનીય પગલું ભર્યું છે, જેમના વિવાદિત નિવેદનોથી દેશનું માત્ર વાતાવરણ જ બગડતું નથી, બલકે વડાપ્રધાનના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના હેતુને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે. સૈયદે જણાવ્યું કે સાંપ્રદાયિક નિવેદન કરનારાઓને સાઇડમાં કરવા, એ દર્શાવે છે કે વડાપ્રધાન મોદી ભારતના વિકાસની દોડને નુકસાન કરનારા કોઈ પણ અવરોધને સહન નહીં કરે. વડાપ્રધાનની આ વિચારસરણીને ઉલેમા બોર્ડ સલામ કરે છે. ભાજપે આ વખતની લોકસભામાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જેવા કેટલાક સાંસદોને ટિકિટ નથી આપી, જેઓ ઘણી વાર પોતાના વિવાદિત નિવેદનોના લીધે સમાચારોનાં મથાળાંમાં ચમક્યા કરે છે.


