- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી યુદ્ધ યથાવત્
- અમેરિકી તંત્ર ઈઝરાયલને દારૂગોળો અને હથિયાર પૂરા પડવામાં વિલંબ કરતા નેતન્યાહૂ અકળાયા
- હમાસે બંધકોને છોડવા અને યુદ્ધવિરામ અંગે કોઈ પ્રત્યુત્તર નથી આપ્યો
ગાઝામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી નારાજ છે. તેમણે બાઈડેન વહીવટી તંત્ર પર દારૂગોળો અને હથિયારો ન આપવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાને પોતાનો સૌથી નજીકનો મિત્ર ગણાવતા વડાપ્રધાન નેતન્યાહૂએ યુદ્ધમાં સાથ આપવા બદલ અમેરિકાની પ્રશંસા કરી હતી, જ્યારે તેમણે એવી ફરિયાદ પણ કરી હતી કે બાઈડેન પ્રશાસન છેલ્લા કેટલાક મહિનાઓથી શસ્ત્રો આપવામાં વિલંબ કરી રહ્યું છે, જે આશ્ચર્યજનક છે.
ગત વર્ષે 7 ઑક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે. હમાસને ખતમ કરવાના નામે ઈઝરાયેલની સેના અત્યાર સુધીમાં 37 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને મારી ચૂકી છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તેથી, આને ધ્યાનમાં રાખીને, બાઈડેન તંત્રએ ચિંતા વ્યક્ત કરી હતી અને પછી મે મહિનાથી તેઓએ હથિયારોની સપ્લાયમાં વિલંબ કરવાનું શરૂ કર્યું, જેનાથી નેતન્યાહૂ નારાજ થયા.
દરમિયાન, યુદ્ધવિરામ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. આમ છતાં અમેરિકા, ઈજિપ્ત અને કતારના રાષ્ટ્રાધ્યક્ષ સતત પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાની જીદ પર અડગ છે. પોતાના દેશમાં તમામ વિરોધ છતાં તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર નથી. તેઓ હમાસના અંત સુધી યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ હમાસ પોતાની શરતો પર યુદ્ધવિરામ ઈચ્છે છે.
ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં છ લોકોનાં મોત
ગાઝામાં ઈઝરાયેલના તાજેતરના હુમલામાં નુસીરત શરણાર્થી શિબિરમાં રહેતા છ લોકો માર્યા ગયા હતા. આ અચાનક હુમલા બાદ કેમ્પમાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું શરૂ કર્યું. પરંતુ તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ગાઝામાં ફેલાયેલા ગભરાટના આ વાતાવરણમાં હુમલા સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર જોરદાર વિસ્ફોટ થયો હતો અને ઘણી ઈમારતો ધરતી પર ધસી ગઈ હતી. મોટાપાયે નુકસાન થયું છે.
આ પહેલા ઈઝરાયેલે પણ ગાઝાના રફાહ શહેર પર હમાસના અનેક ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. આ સાથે એક વીડિયો જાહેર કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાઝાની અંદર ઈઝરાયેલના સૈનિકો સક્રિય છે. ગાઝામાં માનવીય સંકટના કારણે સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હુમલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 17 પેલેસ્ટાઈનનાં મોત થયા હતા.
ઈઝરાયેલની રાજધાનીમાં વિરોધ પ્રદર્શન યથાવત્
આ યુદ્ધે ગાઝામાં ભૂખમરાનો સામનો કરી રહેલા પેલેસ્ટિનિયનોને ખોરાક, દવા અને અન્ય ઘણી સામગ્રીનો પ્રવાહ પણ બંધ કરી દીધો છે. જેના કારણે હુમલામાં માર્યા ગયેલા લોકોની સાથે અનેક લોકો બીમારી અને ભૂખમરાનો શિકાર પણ બની રહ્યા છે. જેના કારણે ગાઝાની બહાર પણ ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઇઝરાયેલની રાજધાની જેરુસલેમમાં પણ હજારો પ્રદર્શનકારીઓએ પીએમ નેતન્યાહૂની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.


