- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી યુદ્ધ યથાવત્
- ઝામાં 100થી વધુ લોકોનાં મોત થયાનો પેલેસ્ટિયન તંત્રનો દાવો
- યુનોના વડાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી. ઈઝરાયેલની સેના ગાઝામાં સતત ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન ગાઝામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ભોજન મેળવવા માટે એકઠી થયેલી ભીડ ઈઝરાયલી દળોના ગોળીબારનો શિકાર બની હતી. આ ફાયરિંગમાં 104 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો અનુસાર, પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ઉત્તરી ગાઝામાં બની હતી.
મળતી માહિતી અનુસાર, ઉત્તરી ગાઝામાં ઈઝરાયલી દળોના ગોળીબારના કારણે 104 લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઘાયલ થયા. વાસ્તવમાં, પેલેસ્ટિનિયન રાશન પહોંચાડતી ટ્રકની સામે એકઠા થયા હતા. ટ્રકની આસપાસ ભૂખ્યા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ઈઝરાયલી દળોએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ગોળીબારમાં ઘણા માર્યા ગયા હતા અને ઘણા લોકો ટ્રક દ્વારા કચડીને મૃત્યુ પામ્યા હતા.
તે જ સમયે, યુએન ચીફ ગુટેરેસે ગાઝા સહાય સ્થળ પર આ દુ:ખદ ઘટનાને વખોડી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ઘટનાની તપાસની માંગ કરી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ ઘટનામાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, જ્યારે ભીડ ભોજનની રાહ જોઈ રહી હતી ત્યારે ઈઝરાયેલી સેનાએ કથિત રીતે ગોળીબાર કર્યો ત્યારે 100થી વધુ લોકો માર્યા ગયા. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો તે અંગે, ઈઝરાયેલી સેના અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો એકબીજાથી તદ્દન વિરોધાભાસી છે.
યુએન ચીફના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, “ગાઝામાં ભયાવહ નાગરિકોને તાત્કાલિક મદદની જરૂર છે, જેમાં ઉત્તરના લોકોનો સમાવેશ થાય છે, જ્યાં યુએન એક અઠવાડિયાથી વધુ સમયથી સહાય પહોંચાડવામાં સક્ષમ નથી.” જો કે યુનાઈટેડ નેશન્સ આ ઘટના દરમિયાન હાજર નહોતું, પરંતુ તેણે દુ:ખદ ઘટનાઓની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.


