ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ઈરાન અને ઈઝરાયેલ સંઘર્ષ પછીની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પોતે ટ્વિટર પર આ માહિતી પોસ્ટ કરી હતી. વડા પ્રધાન મોદીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે,મને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઈરાનના પરમાણુ કાર્યક્રમના કેન્દ્રને નિશાન બનાવ્યું
ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાન સાથેના તાજેતરના સંઘર્ષના સંદર્ભમાં આ કોલ કર્યો હતો. શુક્રવારે ઇઝરાયેલે ઈરાનની પરમાણુ સુવિધાઓ, મિસાઇલ ઉત્પાદન સ્થળો અને લશ્કરી કમાન્ડરોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતાં.આમાં 78 લોકો માર્યા ગયા છે અને ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.ઇઝરાયેલે આ ઓપરેશનને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપ્યું છે.ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ તેને દેશના ઇતિહાસમાં નિર્ણાયક ક્ષણ ગણાવીને કહ્યું કે આ હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું છે.
ભારતે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
ભારતે પહેલાથી જ આ પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત આ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બંને દેશોને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ તેને અટકાવવા અપીલ કરી છે. આ તણાવ વચ્ચે નેતન્યાહૂએ ઘણા વૈશ્વિક નેતાઓ સાથે વાત કરી હતી.જેમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે.આ દરમિયાન યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે.તેમણે કહ્યું કે અમેરિકા વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રો બનાવે છે અને ઇઝરાયલ પાસે તેમાંથી ઘણા છે.તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને હજુ પણ સમાધાન કરવાની બીજી તક મળી શકે છે.