- વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર માનવીને ઉતારવાની ઇસરોની યોજના
- ગગનયાન સફળ રહેશે તો વર્ષ 2035 સુધીમાં ઊભું થશે સ્પેસ સ્ટેશન
- મોદીએ તાલીમ લઇ રહેલા ચારેય અંતરિક્ષ યાત્રીને બેઝ લગાવીને તેમનું સન્માન કર્યું હતું
વડાપ્રધાન મોદી ગગનયાન મિશનમાં ભાગ લઇને અંતરિક્ષમાં સૌ પ્રથમ ઉડાન ભરનારા ચાર જવાનોના નામની મંગળવારે જાહેરાત કરી ચૂક્યા છે. થિરૂવનન્થપુરમ નજીકના થુંબા ખાતે વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીએ તાલીમ લઇ રહેલા ચારેય અંતરિક્ષ યાત્રીને બેઝ લગાવીને તેમનું સન્માન કર્યું હતું. આ ચાર પૈકી બેને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ ચારમાંથી એક જવાન અમેરિકી સ્પેસ મિશનમાં પણ ભાગ લેશે.
ગગનયાન તે ભારતનું સૌ પ્રથમ સમાનવ અંતરિક્ષ અભિયાન બની રહેશે. તે અભિયાન હેઠળ અંતરિક્ષ યાત્રીને પૃથ્વીથી 400 કિ.મી.ના અંતરે આવેલી કક્ષામાં મોકલવામાં આવશે. તેઓ ત્રણ દિવસ સ્પેસમાં રહેશે અને તે પછી તેમને હિંદ મહાસાગરમાં ઉતારવામાં આવશે. ઇસરો મિશનનું ટેસ્ટિંગ કરી ચૂક્યું છે. ગગનયાન મિશન વર્ષ 2025 સુધીમાં લોન્ચ થઇ શકે છે. ઇસરો આ વર્ષે એક રોબોટ મોકલીને વધુ એકવાર ટેસ્ટિંગ કરશે. ગયા વર્ષે થયેલા પરીક્ષણમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે રોકેટમાં કોઇક ખામી સર્જાય તો પણ અંતરિક્ષ યાત્રીને સુરક્ષિત બહાર કાઢી શકાય તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન અભિયાન તાલીમ માટે પસંદગી પામેલા ચારેય અધિકારીઓના નામોની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે ચારેય મનુષ્ય નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાને અંતરિક્ષમાં લઇ જનારી તાકાત છે. 40 વર્ષ પછી કોઇક ભારતીય અંતરિક્ષમાં જશે. ખાસ વાત એ છે કે આ વખતે રોકેટ અને કાઉન્ટડાઉન બંને આપણા હશે. ગગનયાન સફળ રહેશે તો અંતરિક્ષમાં મનુષ્યને પહોંચાડનારો ભારત ચોથો દેશ બની રહેશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન જ આ સફળતા મેળવી શક્યા છે.
કેટલો ખર્ચ થશે ?
અહેવાલમાં જણાવ્યા મુજબ અભિયાન પાછળ અંદાજે રૂપિયા 90 અબજ ખર્ચ થશે. ભારત આ પહેલાં ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવ પર મિશન ઉતારીને ઇતિહાસ રચી ચૂક્યું છે. ચંદ્રયાન 3 મિશન પાછળ રૂપિયા 615 કરોડ ખર્ચ થયા હતા. તે પછી ભારતે સૂર્ય તરફ આદિત્ય- એલ1 મિશન રવાના કર્યું. આ મિશન પણ સફળ રહ્યું છે. મિશન એલ-1 પોઇન્ટ સુધી પહોંચી ચૂક્યું છે. તે પોઇન્ટ પરથી તે સૂર્ય પર નજર રાખી રહ્યું છે. હવે ભારત ગગનયાનની તૈયારી કરી રહ્યું છે.
ભાવિ યોજના વિષે
ગગનયાન મિશન ઇસરો માટે વિજ્ઞાન ક્ષેત્રે મોટી છલાંગ સમાન બની રહેશે. મિશનને સફળતા મળશે તો ભારત વર્ષ 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન ખોલી દેશે. ગગનયાનની મદદથી ભારત વર્ષ 2040 સુધીમાં ચંદ્રની સપાટી પર માનવી પહોંચાડવાની યોજના ઘડી રહ્યું છે. નાસા પણ આર્ટેમિસ-2 મિશનની મદદથી અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર મોકલવાની યોજના ઘડી રહ્યું છે. આર્ટેમિસ-3 મિશનની મદદથી માનવી ચંદ્ર પર ડગ માંડશે. ગગનયાન મિશન માટે જે ચાર જવાનોની પસંદગી થઇ છે તે તમામ વાયુસેનામાં કમિશન્ડ અધિકારી છે. તેમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન રશિયામાં તાલીમ લઇ ચૂક્યા છે. તેઓ 3000 કિ.મી.ની ઉડાનનો અનુભવ ધરાવે છે.


