મંગળવારે (22 એપ્રિલ) જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યાં 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે.
આતંકવાદીઓએ પહેલગામ જઈ રહેલા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ દર્દનીય ઘટના પર ઘણા ભારતીય ક્રિકેટરોએ દુ:ખ વ્યક્ત કર્યું છે, જ્યારે ઘણા ક્રિકેટરોએ આ સમગ્ર મામલે યોગ્ય જવાબ આપવાની વાત કરી છે.
સમગ્ર ક્રિકેટ જગતે સાથે મળીને પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને આતંકવાદ સામે એક થવાનો સંદેશ આપ્યો. વિરાટ કોહલી, શુભમન ગિલ, ગૌતમ ગંભીર, પાર્થિવ પટેલ, આકાશ ચોપરા, મનોજ તિવારી, યુવરાજ સિંહ, ઈશાંત શર્મા, ઈરફાન પઠાણ, સુરેશ રૈના સહિત ઘણા ક્રિકેટરોએ આ હુમલાની નિંદા કરી હતી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે આ હુમલા પાછળ જે લોકોનો હાથ છે તેમને ચોક્કસ સજા મળશે.
ગુસ્સે ભરાયેલા લોકોમાં ભારતના મહાન ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને આ આતંકવાદી હુમલાની નિંદા કરી. કોહલીએ લખ્યું છે કે ‘પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો માટે શાંતિ અને શક્તિ માટે પ્રાર્થના. હું બધા પીડિતો માટે ન્યાયની કામના કરું છું.
ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહે પણ આ હુમલાને શરમજનક ગણાવ્યો અને કહ્યું કે આવી ઘટનાઓ બિલકુલ ખોટી છે. લોકોએ સોશિયલ મીડિયા પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. હરભજન સિંહે આતંકવાદને યોગ્ય જવાબ આપવાની વાત કરી.
શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે પહેલગામમાં થયેલા હુમલા વિશે સાંભળીને દિલ તૂટી ગયું, મારી પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે, આવી હિંસાને આપણા દેશમાં કોઈ સ્થાન નથી.
ઈશાંત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી અને આઘાત પામ્યો છું. મને કાશ્મીરની સુંદરતા અને શાંતિ ખૂબ ગમે છે, તેથી આ ઘટના મારા હૃદયને ખૂબ જ દુઃખી કરે છે. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આપણે આવા હિંસક કૃત્યો સામે સાથે ઉભા રહેવું જોઈએ.

પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પણ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું. તેમને X પર લખ્યું- જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના… હું આ બધું સહન કરી શકતો નથી. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.
પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ પણ પહેલગામની ઘટનાથી દુઃખી જણાયા હતા. તેમને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે આજે કાશ્મીરમાં જે બન્યું તે સાંભળીને હું ચોંકી ગયો છું અને ગુસ્સે પણ છું. જેમને આ બધું કર્યું છે તેમને ચોક્કસ સજા મળશે, મને તેમના પર પૂરો વિશ્વાસ છે. પરંતુ આ સમયે જે કંઈ પણ બન્યું છે, તે સમજવું મુશ્કેલ લાગે છે. પહેલગામમાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોસ્ટ પર લખ્યું છે કે જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવારો માટે પ્રાર્થના. જેમને આ કર્યું છે તેમને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત આનો જવાબ આપશે.
સિક્સર કિંગ યુવરાજ સિંહ પણ પહેલગામમાં થયેલા આતંકવાદી કૃત્યથી આઘાત પામ્યો. તેને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. હું પ્રાર્થના કરું છું કે પીડિતો અને તેમના પરિવારોને શક્તિ મળે. ચાલો આપણે બધા આશા અને માનવતા સાથે એક થઈએ.
ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ X પર લખ્યું છે કે પહેલગામમાં જે બન્યું તે ખૂબ જ ભયાનક અને દુઃખદ છે. પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. શાંતિ. આશા છે કે આ માટે જવાબદાર લોકો (અને તેમને સપોર્ટ કરનારાઓ) પકડાશે અને તેમને કડક સજા આપવામાં આવશે.
આ શરમજનક કૃત્ય પર ઈરફાન પઠાણે પણ પ્રતિક્રિયા આપી. તેને X પર લખ્યું છે કે જ્યારે પણ કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે માનવતા હારી જાય છે. આજે કાશ્મીરમાં જે બન્યું તે જોઈ અને સાંભળીને મારું હૃદય તૂટી ગયું. હું થોડા દિવસ પહેલા જ ત્યાં હતો, આ દુખાવો ખૂબ જ પરિચિત લાગે છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ આ મામલે સીધા પાકિસ્તાનનું નામ લીધું અને ટ્વિટર પર લખ્યું – કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયરતાપૂર્ણ હુમલાની હું સખત નિંદા કરું છું. ભારત તેની બહાદુર સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો સાથે આતંકવાદ સામે એકજૂથ થઈને ઉભું છે. ન્યાયનો વિજય થશે.
આ આતંકવાદી હુમલો દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહેલગામમાં સ્થિત પર્યટન સ્થળ બૈસરન ખીણમાં થયો હતો. મંગળવારે બપોરે અહીં પ્રવાસીઓ ફરતા હતા. દરમિયાન, બપોરે 2.45 વાગ્યાની આસપાસ, છ આતંકવાદીઓ આવ્યા અને અલગ અલગ સ્થળોએ હુમલો કર્યો. આતંકવાદીઓએ ત્યાં હાજર 45 પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો. જેમાંથી 26 પ્રવાસીઓના મોત થયા હતા.


