- જામનગરમાં કોલેરા વકરતા તંત્ર હરકતમાં આવ્યું
- ત્રણેય આરોગ્ય કેન્દ્રો હેઠળના બે કિલોમીટરના વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર
- કોલેરાગ્રસ્ત લોકોનો સંપર્ક કરી સર્વે હાથ ધર્યો
જામનગરમાં છેલ્લા 3 અઠવાડીયામાં કોલેરાના કેસ નોંધાયા બાદ મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત ઉપરથી કોલેરાનો રોગચાળો ફેલાતો અટકાવવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને શહેરના 3 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારોને કોલેરાગ્રસ્ત અને આ ત્રણેય આરોગ્ય કેન્દ્રો હેઠળના બે કિલોમીટરના વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા છે.
આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે સહિતની કામગીરી હાથ ધરી
કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય શાખાની ટીમોએ સર્વે સહિતની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ જામનગર હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં બાળકો માટે એક અલાયદો આઈસોલેટ વોર્ડ ઉભો કર્યો છે.
કોલેરા વકરતા તંત્ર હરકતમાં
જણાવી દઈએ કે જામનગરમાં કોલેરા વકરતા તંત્ર હરકતમાં આવ્યું છે. ગઈકાલે કમિશનરની અધ્યક્ષતામાં મિટિંગ યોજાયા બાદ આજે સવારથી જ જામનગર મહાનગરપાલિકાની તથા જી જી હોસ્પિટલની આરોગ્યની ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રવિ પાર્ક, લાલખાણ, ખોજાગેઈટ, ઘરારનગર સહિતના વિવિધ વિસ્તારોમાં આરોગ્યની ટીમો પહોંચી હતી અને કોલેરાગ્રસ્ત લોકોનો સંપર્ક કરી સર્વે હાથ ધર્યો હતો.
પાણીજન્ય રોગચાળા અંગે સાવચેતી દાખવવા અપીલ
તેમજ દવા આપવા સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી અને કોલેરા પોઝિટિવ દર્દીઓ તથા તેમના પરિવારજનો તથા આજુબાજુના રહેવાસીઓને પણ જરૂરી સૂચનો આપ્યા હતા અને પાણીજન્ય રોગચાળા અંગે સાવચેતી દાખવવા અપીલ કરવામાં આવી હતી તો બીજી તરફ જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકો માટે એક અલાયદો આઈસોલેટ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. હાલ આ કોલેરાને ધ્યાને લઈ આ વોર્ડમાં તમામ દવાની સાથે તમામ સ્ટાફ સજ્જ છે સાથે વહીવટી તંત્ર તરફથી જામનગરવાસીઓને વાસી ખોરાક, ઉકાળેલું પાણી, સહિતની બાબતો ધ્યાનમાં રાખવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી છે.


