જીટીયુ દ્વારા ૧૨ વિદ્યાર્થીઓને સજા : આ વિદ્યાર્થીઓ વિન્ટર સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે નહી
જામનગરની અક્ષરપ્રીત ફાર્મસી કોલેજની માસ કોપી કેસમાં જીટીયુએ એક લાખનો દંડ અને ૧૨ વિદ્યાર્થીઓને વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જીટીયુની સમર સેમેસ્ટર પરીક્ષાઓમાં બી.ફાર્મની પરીક્ષામાં જામનગરની કોલેજમાં માસ કોપી કેસની તાજેતરમાં વિદ્યાર્થીઓ અને કોલેજની સુનાવણી રાખવામાં આવી હતી. સુનાવણી બાદ જીટીયુ દ્વારા ૧૨ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે ડીબાર્ડ કરવામાં આવ્યા છે અને કોલેજને એક લાખનો દંડ કરવામાં આવ્યો છે અને પરીક્ષા કામગીરીમાં રોકાયેલા સ્ટાફનું મહેનતાણું રદ કરી દેવાયુ છે.
જીટીયુની ગત સમર સેમેસ્ટર પરીક્ષાઓમાં ઓગષ્ટમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓ અંતર્ગત બેચલર ઓફ ફાર્મસીની સેમેસ્ટર-3ની પરીક્ષા દરમિયાન ૯મી ઓગષ્ટની એક પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના બની હતી. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તમામ સેન્ટરો પરથી આવતી સીસીટીવી રેકોર્ડીની સીડીનું ચેકીંગ કરતા જીટીયુના ધ્યાને આવ્યું હતું કે કોલેજમાં બી. ફાર્મ સેમ-3ના કેટલાક વિદ્યાર્થીઓ કાપલીઓની આપ-લે કરતા હતા અને ચોરી કરતા હતા. જેને પગલે જીટીયુ દ્વારા જ પ્રથમવાર ડાયરેકટર કોપી કેસ નોંધવામાં આવ્યો હતો. મોટા ભાગે સેન્ટર પર સુપરવાઇઝર દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડાયા છે અને કેસ નોંધાયા છે.
આ માસ કોપી કેસની ઘટનામાં જીટીયુ દ્વારા સુનાવણી બાદ જામનગરની અક્ષરપ્રીત ફાર્મસી કોલેજને એક લાખનો દંડ કરવામાં આવ્યો છે. જયારે માસ કોપી કેસમાં પકડાયેલા ૧૨ વિદ્યાર્થીઓનું સમર સેમેસ્ટર-૨૦૨3ની પરીક્ષાનું તમામ વિષયનું પરિણામ રદ કરી દેવાયુ છે અને વિન્ટર સેમેસ્ટર ૨૦૨3ની પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મૂકાયા છે. આ વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૨૦૨૪ની પરીક્ષામાં બેસી શકશે. આ ઉપરાંત જીટીયુ દ્વારા સીનિયર સુપરવાઇઝર, જુનિયર સુપરવાઇઝર, સેન્ટર ઇન્ચાર્જથી માંડી જીટીયુ કો-ઓર્ડિનેટર સહિતના પરીક્ષા સ્ટાફનું મહેનતાણુ રોકી દેવામાં આવ્યું છે. આ કોલેજને હવે આગામી બે પરીક્ષાઓ માટે સેન્ટર પણ ફાળવવામાં નહી આવે. આગામી પરીક્ષાઓ દરમિયાન કોલેજ હવે પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને અન્ય સેન્ટરમાં પરીક્ષામાં લેવા-મુકવાની વ્યવસ્થા ગોઠવવી પડશે. સમર સેમેસ્ટરની ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમાં ઇજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્સની પરીક્ષાઓમાં કુલ ૫૯ કોપી કેસ નોંધયા હતા. જેમાં સુનાવણી બાદ માસ કોપી કેસના ૧૨ સહિત ૫૧ વિદ્યાર્થીઓને જુદી-જુદી સજા કરાઇ છે અને ૮ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા છે.