- રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહનો કબ્જો વન વિભાગે સંભાળ્યો
- જામનગર પાસેના વસઈ ગામ પાસેથી મળ્યો મૃત મોર
- પીએમમાં ફુડ પોઈઝન નહીં પરંતુ હિટ-સ્ટ્રોક, ડિહાઈડ્રેશનનું તારણ
એક તરફ જ્યાં રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવને કારણે જ્યાં જાહેર જનતા તો પરેશાન છે જ પરંતુ સાથે સાથે વન્ય જીવો અને પશુ પક્ષીઓ પણ બેહાલ બન્યા છે. ત્યારે, જામનગરથી આજે એક મૃત હાલતમાં રાષ્ટ્ર પક્ષી મોર મળી આવ્યો હતો. વનવિભાગ દ્વારા જ્યારે આ મોરના મૃતદેહનું પોસ્ટપોર્ટમ કરવામાં આવ્યું તો તેમ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. મૃત મોરના પીએમમાં મૃત્યુનું કારણ ગરમી હોવાનું ખૂલ્યું છે.
જામનગર નજીકના વસઈ ગામે આજે તા.24મી મેની સવારે મળી આવેલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને સંભાળીને વન વિભાગ દ્વારા તેના મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા બાદ મોરનું મૃત્યુ ડિહાઈડ્રેશન અથવા સન હિટ-સ્ટ્રોક (તડકા/ગરમી)થી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ઉડતો મોર સીધો ધરતી પર પટકાયો હોવાથી તેને ડોકમાં ઈજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
જામનગર-ખંભાળીયા હાઈ-વે ઉપર શહેરથી 10 કીલોમીટર દુર આવેલા વસઈ ગામે મોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વન વિભાગે આ શેડ્યુઅલ-1ના એવા રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહનો કબ્જો લઈને તેનું પશુપાલન વિભાગના ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બાદમાં ગાઈડલાઈન મુજબ મોરના મૃતદેહની અંતિમ વિધિ કરી હતી.
મૃત્યુના પ્રાથમિક તારણમાં મોરનું સન-સ્ટ્રોક કે ડિહાઈડ્રેશનથી મૃત્યુ થયાની શક્યતા ડોક્ટરોએ વ્યક્ત કરી છે. હાલના દિવસોમાં પશુ-પક્ષીઓને પણ માનવીઓની જેમ ભારે તાપથી બચવાની જરૂર પડી છે ત્યારે પક્ષીનગર ગણાતા જામનગરમાં દર વર્ષે વન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા વિતરણ થતા હજારો કુંડાઓનો લોકો ઉપયોગ કરે તે જીવદયાની દ્રષ્ટિએ ખુબ જરુરી બન્યું છે.


