- નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી…
ભગવાન વિષ્ણુએ સોળ હજાર કળાઓથી સંપૂર્ણ શ્રીકૃષ્ણ રૂપે આઠમો અવતાર લીધો. કૃષ્ણ જન્મોત્સવ જ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે અને ગોકુળમાં ગોકુલાષ્ટમી તરીકે ઓળખાય છે, કૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીની અનેક લીલાઓ છે, જેની પાછળ તેમનો કોઈ ચોક્કસ ઉદ્દેશ કે હેતુ રહેલો હતો. શ્રીકૃષ્ણ અનેક યુગોથી આપણી આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. તેઓ ક્યારેક યશોદાના લાલ હતા તો ક્યારેક વ્રજનો નટખટ કનૈયો. ક્યારેક ગોપીઓનાં ચેન છીનવી લેતા હતા તો ક્યારેક વિદુર પત્નીનું આતિથ્ય સ્વીકારતા, તો ક્યારેક અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા જોવા મળે છે. શ્રીકૃષ્ણનાં પુત્ર, ભાઈ, પતિ, મિત્ર, પથદર્શક, ઉપદેશક, સારથી અને
જગદ્ગુરુ એમ અનેક રૂપ છે અને તેઓ દરેક રૂપમાં સંપૂર્ણ છે. બાળપણમાં તેમણે કંસે મોકલેલા રાક્ષસોનો વધ કર્યો, મામા કંસનો વધ કર્યો, શિશુપાલની ગાળો સાંભળી અને ક્રોધ આવે સુદર્શનચક્ર પણ ચલાવ્યું. ભગવાન શ્રીકૃષ્ણે જ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાના માધ્યમથી દિવ્ય સંદેશ આપીને કાયરમાંથી વીર બનાવીને લડવા માટે તૈયાર કર્યા અને સમય આવે તેમણે દુર્યોધનની જાંઘ પર ભીમ દ્વારા પ્રહાર કરાવ્યો. અર્જુનના સારથી બનીને તેમણે પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય અપાવ્યો.
ભગવાન શ્રીકૃષ્ણના અવતારની રસપ્રદ કથા
શ્રીકૃષ્ણની બાળલીલાની ભૂમિ ગોકુળમાં જન્માષ્ટમી મહોત્સવ કરતાં નંદ મહોત્સવનું વધારે મહત્ત્વ છે
લગભગ દરેક વ્યક્તિ ભાગવત પુરાણમાં વર્ણવેલ શ્રીકૃષ્ણાવતારની કથાથી પરિચિત છે. દ્વાપર યુગમાં પૃથ્વી પર રાક્ષસોનો અત્યાચાર વધવા લાગ્યો હતો. પૃથ્વી માતા ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગયાં. બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને પૃથ્વીમાતાને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. તે સમયે ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરી રહ્યા હતા. બધાં જ દેવી-દેવતાઓએ શ્રીવિષ્ણુની સ્તુતિ કરી, જેથી ભગવાન નિદ્રામાંથી જાગ્યા અને બ્રહ્માજી તથા દેવતાઓને તેમની પાસે આવવાનું કારણ પૂછ્યું. પૃથ્વીમાતા બોલ્યાં કે, હે પ્રભુ! હું પાપના ભારથી દબાઈ રહી છું, હવે મને સહન થતું નથી. મારો પ્રભુ તમે ઉદ્ધાર કરો. આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, `હું વ્રજમાં વાસુદેવની પત્ની દેવકીના ગર્ભથી જન્મ લઈશ. તમે બધા દેવતાગણ વ્રજભૂમિમાં જઈને યાદવ વંશમાં અવતાર ધારણ કરો, આટલું કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ દેવતાઓએ વ્રજમાં જઈને યદુ કુળમાં નંદ-યશોદા તથા ગોપીઓના રૂપમાં જન્મ લીધો
દ્વાપર યુગના અંતમાં મથુરામાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. ઉગ્રસેનના પુત્રનું નામ કંસ હતું. તેણે ઉગ્રસેનને બળપૂર્વક સિંહાસન પરથી ઉતારીને જેલમાં નાખી દીધા અને પોતે રાજા બની બેઠો. કંસની બહેન દેવકીના વિવાહ યાદવ કુળમાં વાસુદેવજી સાથે નક્કી થયા હતા. જ્યારે કંસ દેવકીને વિદાય આપતી વખતે રથ સાથે જઈ રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે, “હે કંસ! જે દેવકીને તું આટલા પ્રેમથી વિદાય કરી રહ્યો છે તેનો આઠમો પુત્ર તારો સંહાર કરશે.” આકાશવાણી સાંભળીને પોતાના મૃત્યુના ભયથી ભયભીત બનેલા કંસે વિચાર્યું કે દેવકી જ નહીં હોય તો તેનો પુત્ર પણ નહીં હોય, તેથી તે દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો ત્યારે વાસુદેવજીએ કંસને સમજાવ્યું કે તારે દેવકીનો તો કોઈ ભય નથી. દેવકીનું આઠમું સંતાન હું તમને સોંપી દઈશ. પછી તેની સાથે જે કરવું હોય તે કરજો. કંસે વાસુદેવજીની વાત તો માની લીધી, પરંતુ તે બંનેને કારાવાસમાં બંધ કરી દીધાં. આઠમા પુત્રની ગણતરી પહેલેથી કરવી કે છેલ્લેથી કરવી. તેણે વિચાર્યું કે તે દેવકીના એક પણ સંતાનને જીવિત નહીં રહેવા દે. તેણે એક એક કરીને દેવકીનાં સાતેય સંતાનોનો નિર્દયતાપૂર્વક વધ કરી દીધો. હવે કંસ દેવકીના આઠમા સંતાનનો વધ કરવા તત્પર હતો.
આખરે કંસનો કાળ બનીને ભગવાન શ્રીકૃષ્ણ ઇ.સ. પૂર્વે. 3228 ને શ્રાવણ વદ આઠમના રોજ મધ્ય રાત્રિએ 12 કલાકે રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. તેમનો જન્મ થતાં જ જેલની અંધારી કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. વાસુદેવજી અને દેવકીની સામે શંખ, ગદા, ચક્ર તથા પદ્મધારી ચતુર્ભુજ ભગવાન પ્રગટ્યા અને કહ્યું, `હવે હું બાળકનું રૂપ ધારણ કરું છું. તમે મને ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચાડી દો અને તેમને ત્યાં જન્મેલી કન્યાને અહીં લાવીને કંસને સોંપી દો.’ તે જ સમયે વાસુદેવજીની હાથકડીઓ ખૂલી ગઈ, દરવાજા તેની જાતે જ ખૂલી ગયા. પહેરેદારો સૂઈ ગયા. વાસુદેવજી શ્રીકૃષ્ણને વાંસમાંથી બનેલી ટોપલીમાં મૂકીને ગોકુળના રસ્તે ચાલવા લાગ્યા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તેનાથી રક્ષણ કરવા માટે શેષનાગ છત્ર બનીને આવ્યા. રસ્તામાં યમુના નદી આવી, જેમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું હતું. શ્રીકૃષ્ણએ પોતાના પગ લટકાવી પાણીનો સ્પર્શ કરતાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું, યમુના પાર કરીને તેઓ ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચ્યા. નંદજીને મળીને તેમણે શ્રીકૃષ્ણને યશોદાજીની પાસે સુવડાવી દીધા અને કન્યાને લઈને પાછા કંસના કારાવાસમાં આવી ગયા. જેલના દરવાજા પહેલાંની જેમ બંધ થઈ ગયા. વાસુદેવજીના હાથ હાથકડીઓમાં બંધાઈ ગયા અને પહેરેદારો જાગી ગયા. કન્યાના રડવાનો અવાજ સાંભળીને તેમણે કંસને સમાચાર આપ્યા. પોતાના વધનું કારણ બની શકે તેવા આ આઠમા સંતાનનો વધ કરવા કંસ કારાવાસમાં પહોંચ્યો. તે કન્યાને હાથમાં પકડીને દીવાલ પર પટકીને મારવા માટે તૈયાર થયો તે જ સમયે તે કંસના હાથમાંથી ઊડીને આકાશમાં પહોંચી ગઈ અને દેવીનું રૂપ ધારણ કરીને બોલી, `હે કંસ! મને મારવાથી શું લાભ? તારો શત્રુ તો ગોકુળમાં પહોંચી ચૂક્યો છે.’ આ દૃશ્ય જોઈને કંસ હતપ્રભ અને વ્યાકુળ થઈ ગયો. કંસે શ્રીકૃષ્ણને મારવા માટે અનેક દૈત્યોને ગોકુળમાં મોકલ્યા, પરંતુ શ્રીકૃષ્ણે તમામ દૈત્યોનો વધ કર્યો. મોટા થયા પછી તેમણે મામા કંસનો વધ કર્યો અને ઉગ્રસેનજીને રાજગાદી પર બેસાડ્યા તથા વાસુદેવ-દેવકીને કારાવાસમાંથી મુક્ત કરાવ્યાં.
કૃષ્ણ જન્મોત્સવ અને નંદ મહોત્સવ
જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ઠેર ઠેર વૈષ્ણવ મંદિરોમાં ભારે હર્ષોલ્લાસપૂર્વક ઊજવવામાં આવે છે, પરંતુ કૃષ્ણના જીવન સાથે સંકળાયેલાં ગોકુળ અને મથુરા જેવાં પવિત્ર યાત્રાધામોમાં કૃષ્ણજન્મની ઉજવણીમાં સામેલ થવું એ જીવનનો અમૂલ્ય લહાવો છે. મથુરામાં ઊજવાતો કૃષ્ણ જન્મોત્સવ એ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. જ્યારે ગોકુળમાં ઊજવાતો નંદમહોત્સવ એ ગોકુલાષ્ટમી તરીકે ઓળખાય છે.
મથુરા એટલે ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ. જન્માષ્ટમીની ઉજવણીની પરાકાષ્ઠાએ આખી મથુરાનગરી ભક્તિરંગથી રંગાઈ જાય છે. રંગબેરંગી રોશનીની હારમાળા તથા ફૂલ-હારતોરાથી મથુરાનગરી ખીલી ઊઠે છે. મથુરાનગરીમાં ઠેર ઠેર કૃષ્ણલીલાની ઝાંખી કરાવતાં દૃશ્યો દૃષ્ટિગોચર થાય છે. આ દિવસે વહેલી સવારથી જ શ્રીકૃષ્ણનું વિવિધ પ્રકારે પૂજન-અર્ચન કરવામાં આવે છે. ઠેરઠેર ભગવાન શ્રીકૃષ્ણના વિગ્રહની આરતી ઉતારવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભૂમિના સ્થળ પર સવારથી શ્રીકૃષ્ણ જન્મના રંગારંગ કાર્યક્રમો ઊજવવામાં આવતા હોય છે.
મધ્યરાત્રિએ ભગવાનની મૂર્તિનો પંચામૃત તથા વિવિધ નદીઓનાં જળથી સ્નાન કરાવીને પ્રભુને ટ્રેડિશનલ ડિઝાઇનવાળાં વસ્ત્રો અંગીકાર કરાવવામાં આવે છે. બરાબર બારને ટકોરે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધામણીથી પ્રભુને પારણિયે ઝુલાવવામાં આવે છે. આખી મથુરાનગરી શંખનાદ, ઘંટનાદ, કૃષ્ણનાદ અને વિવિધ વાજિંત્રોના તાલે ગુંજી ઊઠે છે. પૂજનવિધિ પૂરી થયા બાદ ભગવાનને છપ્પનભોગ ધરાવીને નવરત્ન દીવડાંની આરતી ઉતારવામાં આવે છે. છપ્પનભોગનો પ્રસાદ આરોગીને કૃષ્ણભક્તો ઉપવાસ છોડે છે. હાથી, ઘોડા, પાલખી જય કનૈયા લાલ કી… ના જયનાદ સાથે ઝૂલણોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ગોકુળ એટલે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાની ભૂમિ, ગોકુળમાં જન્માષ્ટમી મહોત્સવ કરતાં નંદ મહોત્સવનું વધારે મહત્ત્વ છે, જન્માષ્ટમીના પછીના એટલે કે શ્રાવણ સુદ નોમના દિવસે આ ઉત્સવ નંદરાય અને યશોદાજીના ઘરે ઊજવવામાં આવે છે. નંદરાયજી અને યશોદાજી શ્રીકૃષ્ણનાં પાલક માતા-પિતા છે. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને શૃંગાર રાખવામાં આવે છે. વ્રજનો એક છોરો નંદરાયના પરિવેશમાં સજ્જ થાય છે અને છોરી યશોદામૈયા બને છે, ત્યારે સૌ વ્રજવાસીઓ આનંદોલ્લાસ ભાવે પરસ્પર અબીલ, ગુલાલ, હળદર અને અત્તર છાંટીને વિવિધ વાજિંત્રોના તાલ સાથે નાચગાન કરીને આપસમાં મોં મીઠું કરાવે છે. ગોકુલવાસીઓ નંદલાલાને હોંશે હોંશે પારણિયે ઝુલાવે છે ત્યારે જન્મોત્સવના વધાઈગાનમાં વ્રજબાળાઓ હાલરડાં, ગીતો અને ફટાણાં ગાય છે. નંદરાયજી છઠ્ઠીની દેવી પૂજા કરે છે. જે બાળકને આશીર્વાદ આપે છે અને ખરાબ તત્ત્વોથી રક્ષણ પૂરું પાડે છે. નંદરાયજી અને યશોદામૈયા બ્રાહ્મણોને ગાયનું દાન આપે છે. દરિદ્રનારાયણને ભાવતાં ભોજનિયાં પીરસાય છે. નંદગાંવવાસીઓ અને ગોકુળજનો નંદ ઘેર આનંદ ભયો…જય કનૈયા લાલ કી… હાથી-ઘોડા-પાલખી જય કનૈયા લાલ કી…ના જયઘોષથી કૃષ્ણભક્તિમય દિવ્ય વાતાવરણ ખડું કરે છે. નંદરાયજી અને યશોદામૈયા વ્રજનાં ગોપ-ગોપીઓ સાથે નૃત્ય કરે છે. આમ, ગોકુળમાં નંદ મહોત્સવ સંપન્ન થાય છે.
જન્માષ્ટમીનું અનેરું વ્રત
સ્કંદપુરાણ અનુસાર જે વ્યક્તિ જાણીજોઈને પણ જન્માષ્ટમીના દિવસે વ્રત નથી કરતી તે જંગલમાં સર્પ કે વાઘ રૂપે જન્મે છે. જન્માષ્ટમીના દિવસે દરેક વ્યક્તિએ વ્રત-ઉપવાસ કરવાં જોઈએ. બ્રહ્મચર્ય તથા અન્ય નિયમોનું પાલન પણ કરવું જોઈએ. ઘરના મંદિરમાં શ્રી બાળકૃષ્ણ (લાલા)ની સ્થાપના કરીને તેમની મૂર્તિને શણગાર સજાવીને પારણાંમાં મૂકીને તેમને ચંદન-પુષ્પ ચઢાવવાં જોઈએ. શ્રદ્ધાપૂર્વક તેમનાં પૂજન-અર્ચન અને આરતી કરવી જોઈએ. લાલાને ભાવતા ભોગ જેમ કે, મગસના લાડુ, માખણ, મિસરી, પંજરી વગેરે ધરાવવાં જોઈએ. તેમના નામનાં ભજન, કીર્તન અને માળા કરવી. શ્રીકૃષ્ણને ધરાવેલો પંજરીનો પ્રસાદ વહેંચવો જોઈએ. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની વ્રત-પૂજા કરવાથી સંતાન તથા સમૃદ્ધિનું સુખ મળે છે.
દહીં – હાંડી ઉત્સવ
હાંડી ઉત્સવ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોકુળ, મથુરા સહિત સમગ્ર ભારતભરમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવમાં માટીની એક માટલીમાં દહીં, માખણ, મધ, ફળ અને રોકડ રકમ વગેરે ભરવામાં આવે છે અને જમીનથી ઊંચે લટકાવવામાં આવે છે. છોકરા તથા છોકરીઓનો સમૂહ તેમાં ભાગ લે છે અને એકબીજા પર ચઢીને તે મટકી ફોડે છે. મહારાષ્ટ્રમાં દહીં-હાંડીની સ્પર્ધા પણ યોજાય છે. જેમાં હાંડી ખૂબ ઊંચે લટકાવવામાં આવે છે અને જે ટીમ મટકી ફોડે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેમનું જીવન ઉદ્દેશસભર હતું. તેમણે મનુષ્ય રૂપે અવતાર લઈને પૃથ્વી પર અવતરણ કર્યું હતું. મનુષ્ય અવતાર તરીકેનું તેમનું જીવન સુખ, દુ:ખ અને મુસીબતોમાં આપણે કેવી રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, તેથી તેમને પૂર્ણ પુરુષોત્તમ તથા કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુ તરીકે ઓળખવામાં આવે છે.