- જીવંતિકા દેવી રાજમહેલમાં જઈને પારણા પાસે ઊભાં ઊભાં જે બાળકને જન્મ આપ્યો હતો તેની રક્ષા કરે છે
આજીવંતિકા દેવીનું વ્રત સ્ત્રીઓ શ્રાવણ માસમાં કરે છે. શ્રાવણ માસના પહેલા શુક્રવારથી કે કોઈ પણ શુક્રવારથી આ વ્રત કરવાનું વિધાન છે. દેવી સમક્ષ દીપ પ્રગટાવી ભજન-કીર્તન કરવામાં આવે છે. નકોરડો ઉપવાસ કરી શકાય તેમ ન હોય તો એકટાણું કરવું. જીવંતિકા વ્રતની વિશિષ્ટતા એ છે કે આ પરમ પવિત્ર દિવસે પીળા રંગનું વસ્ત્ર ન પહેરવું કે કોઈ પણ પીળી વસ્તુનો ઉપયોગ ન કરવો.
વ્રત-કથા
બાળકો જીવતાં રહે અથવા તો ખોવાઈ ગયેલાં બાળકો મળી આવે તે માટે જીવંતિકા દેવીનું વ્રત કરવાનો મહિમા છે. અતિ પ્રાચીન સમયની આ કથા છે. વારાણસી નગરીમાં શીલવંત નામે એક રાજા થઈ ગયો. આ રાજાનું નામ એવા ગુણ હતા. તે ખરેખર શીલ અને સદાચારની મૂર્તિ હતો. એની રાણીનું નામ સુમના હતું. તે પણ ધર્મશીલ, સંસ્કારી, ઘરરખ્ખુ, તન-મનથી પવિત્ર અને ધર્મપરાયણ હતી.
આ દેવાંશી દંપતીને શેર માટીની ખોટ હતી. એટલે કે નિ:સંતાનપણાનું દુ:ખ સાલતું હતું. રાજા-રાણીની પાસે ઘણી સંપત્તિ હતી, પણ સંતતિ નહોતી. તેમને સંતતિ વિનાનો સંસાર કડવો ઝેર જેવો લાગતો હતો. કૂખ ઉજાળનાર કુમાર નહીં હોવાથી સુમના શૂન્યમનસ્ક રહ્યા કરતી. વાંઝિયાપણું રાણીના હૃદયને કોરી ખાતું હતું. આ દંપતી મનોમન વિચાર કર્યા કરે કે, આપણે એવાં તે કયાં પાપ કર્યાં હશે કે પ્રભુએ આપણને પુત્રસુખથી વંચિત રાખ્યાં? રાણી સુમના તો પાણી વિના જેમ વેલ સુકાય તેમ સુકાવા લાગી. તેનું શરીર કૃશ બની ગયું. રાણીનું દુ:ખ એક વિશ્વાસુ અને વફાદાર સેવિકા સમજી ગઈ. આ સેવિકા સુયાણી તરીકે પણ સેવા આપતી હતી.
એક દિવસ સેવિકાએ મનોમન દૃઢ સંકલ્પ કર્યો કે, રાણીને યેનકેન પ્રકારે ખોળાનો ખૂંદનાર લાવી દેવો. રાણીએ આ દાસીને તેના મનનું ધાર્યું કરવા દીધું. દાસીએ જે કરવું હોય તે કરવાની અનુમતિ આપી. દાસીને તો હવે મોકળું મેદાન મળી ગયું.
દાસીએ ચોતરફ એવી વાત ફેલાવી કે રાણીજીને સારા દિવસો રહ્યા છે. આ શુભ સમાચાર સાંભળી રાજા હર્ષવિભોર બન્યો. પ્રજાનું હૃદય પણ પુલકિત બન્યું. રાજાએ આનંદના અતિરેકમાં બ્રાહ્મણોને અને ગરીબોને દાન-દક્ષિણા આપી રાજી કર્યા.
આ દાસી સુયાણીનું કામ કરતી હતી. જોગાનુજોગ બરાબર એ જ અરસામાં એક બ્રાહ્મણ બાઈને ત્યાં દાસીને જવાનું થયું. દાસીએ પોતાની યુવાન દીકરીને સાથે લીધી અને પુત્રીએ પોતે શું કામ કરવાનું છે તે મા પાસેથી સમજી લીધું. આ દાસીએ પુત્રીને કહી રાખ્યું હતું કે, જો પુત્ર અવતરે તો યુક્તિપૂર્વક તારે તે નવજાત બાળકને રાણી પાસે રાણીવાસમાં લઈ જવાનો છે.
આ બ્રાહ્મણ બાઈએ પુત્રને જન્મ આપ્યો. દાસીએ તરત જ પોતાની પુત્રીને બાળક સાથે રાણીવાસમાં મોકલી દીધી અને તેણે બ્રાહ્મણ બાઈને સમજાવી દીધું કે બાળક મરેલું જન્મ્યું છે. મેં તો પ્રયત્ન કરીને તમને બચાવી લીધાં છે.
દાસી તો તરત જ બ્રાહ્મણીના ગળે વાત ઉતારીને તેનું મન મનાવી હરખભેર રાણીવાસમાં આવી પહોંચે છે. દાસીએ થાળી વગાડી એવી વાત વહેતી મૂકી દીધી કે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે. પુત્રની વધાઈ સાંભળતાં પ્રજામાં આનંદ ઉભરાયો.
આ બ્રાહ્મણ બાઈએ કોઈના કહેવાથી હવે પછીનું બાળક જીવતું રહે તે માટે જીવંતિકા વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણી નિષ્ઠાપૂર્વક અને વાત્સલ્યપ્રેમથી પ્રેરાઈને પ્રેમપૂર્વક વ્રત કરે છે અને એની કથા સાંભળે છે. જીવંતિકા દેવી તો રાજમહેલમાં જઈને પારણા પાસે ઊભાં ઊભાં જે બાળકને જન્મ આપ્યો હતો તેની રક્ષા કરે છે.
સમય જતાં પુત્ર મોટો થયો. આ રાજકુમારે પિતાના અવસાન પછી રાજ્યનો કારભાર સંભાળી લીધો. તેણે તો સુંદર વહીવટ ચલાવીને પ્રજાની ચાહના મેળવી લીધી. તેણે પ્રજાનો અસીમ પ્રેમ સંપાદન કરી રાજ્યમાં માન મેળવ્યું.
પિતાનો દેહવિલય થયાને એક વર્ષ પૂરું થયું. રાજકુમારે રાજાનું શ્રાદ્ધ કરવા તીર્થધામ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં રાત પડી. રાજકુમારે એક વણિક શેઠને ત્યાં મુકામ કર્યો. એ જ દિવસે શેઠને ત્યાં નવજાત શિશુની છઠ્ઠી મૂકવાનો શુભ પ્રસંગ હતો.
રાત્રિના સમયે રાજકુમારના પલંગ પાસે રાજકુમારના રક્ષણાર્થે જીવંતિકા દેવી બેઠાં છે, ત્યાં વણિકપુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા. બંને દેવીઓનું અહીં સુભગ મિલન થયું.
જીવંતિકા દેવીએ પૂછ્યું, `તમે શું લેખ લખવા આવ્યાં?’
આ વણિકપુત્રનું આવતી કાલે જ મૃત્યુ થશે, `વિધાતાએ કહ્યું.’
જીવંતિકા કહે, `મારી હાજરી હોય ત્યાં અમંગલ હોય જ નહીં દેવી! તમારે લેખ સુધારવા જ પડશે. આ નવજાત શિશુને અલ્પાયુષ્યને બદલે દીર્ઘાયુષ્ય આપો.’
જીવંતિકા દેવીના કહેવાથી વિધાતાએ આ બાળકના લેખ સુધારી, વિદાય લીધી. રાજકુમાર આ બંને દેવીઓ વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો તે સાંભળીને આકુળ-વ્યાકુળ બની ગયો.
જીવંતિકા દેવીએ વિધાતાને કહ્યું કે, `આ કુમારની માતા બ્રાહ્મણી છે, જે મારું વ્રત કરે છે.’ તો શું મારી માતા આ રાણી નથી? રાણી મારી ખરી મા નથી? મારી ખરી મા બ્રાહ્મણી છે તે કોણ હશે?
કુમારે રાણીને પૂછી જોયું કે, તમે કોઈ વ્રત કરો છો? રાણીએ જવાબમાં ના કહી. આથી કુમાર ઊંડા વિચારોમાં ડૂબતો ગયો. તે સત્ય શોધી કાઢવા કટિબદ્ધ થયો.
શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવ્યો. કુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજકુમાર ધુમાડાબંધ ગામ જમાડે છે, માટે દરેકે પીળાં વસ્ત્રો પહેરીને જ ત્યાં જમવા આવવું. જે કોઈ ઘેર રહેશે અને જમવા નહીં આવે તે રાજ્યના ગુનેગાર ગણાશે.
જમવા માટે પંગત પડી ગઈ, ત્યારે રાજકુમારે પોતે ગામમાં ઘેર-ઘેર જઈ તપાસ કરી તો એક બ્રાહ્મણ બાઈ ઘેર હતી અને રાજમહેલે જમવા માટે ગઈ ન હતી. કુમારે જમવા નહીં આવવાનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણીએ કહ્યું કે, `મારે આજે જીવંતિકા વ્રત છે. આ વ્રત કરે તેનાથી પીળું વસ્ત્ર પહેરાય, તેથી હું જમવા આવી નથી.’
રાજકુમારે વિધાતા અને જીવંતિકા દેવીનો વાર્તાલાપ સાંભળ્યો હતો, ત્યારે જીવંતિકા દેવીએ કહ્યું હતું કે જે દિવસે મારું વ્રત હોય તે દિવસે પીળું વસ્ત્ર કે પીળી વસ્તુ વર્જ્ય ગણવામાં આવે છે. આ વાત સાંભળ્યા પછી જ કુમારે આ યુક્તિ કરી હતી.
માતાનાં ચરણે પુત્ર નમી પડ્યો. વિધાતા અને જીવંતિકા દેવી વચ્ચે વાતચીત થતી હતી તે પુત્રે માતાને કહી સંભળાવી. તે જાણી માતાને ખૂબ જ આનંદ થયો. કુમાર તે બ્રાહ્મણી એટલે કે માતાને લઈને રાજમાતા પાસે આવ્યો. કુમારે રાજમાતાને પૂછ્યું કે, `તમે મારી જનેતા છો કે આ બ્રાહ્મણ બાઈ?’
આ આકરી કસોટીની પળ હતી. રાણીની આંખો અશ્રુભીની બની. રાણીવાસની પેલી દાસીએ સર્વ હકીકત કબૂલ કરી. કુમારે બંને માતાઓને પ્રણામ કર્યાં અને પોતાની ખરી માતાને રાજમહેલમાં રહેવા માટે પ્રબંધ કરી આપ્યો.
જીવંતિકા વ્રતના પ્રભાવે બ્રાહ્મણ બાઈને પોતાનો ખોવાયેલો પુત્ર પ્રાપ્ત થયો. પોતે કરેલું આ વ્રત તેને ફળ્યું અને તેની મનોકામના પણ પરિપૂર્ણ થઈ.
રાણીવાસ આખો આ આશ્ચર્યકારક ઘટના નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બ્રાહ્મણ બાઈ પાસે જમવા આવેલી સ્ત્રીઓએ આ જીવંતિકા વ્રત કેમ થાય તેની વિધિ જાણી અને સૌએ આ વ્રત કરવા દૃઢ સંકલ્પ કર્યો, કારણ કે આ વ્રત કરવાથી બાળકને જીવતદાન મળે છે અને ખોવાયેલો પુત્ર પણ પાછો આવે છે અને ઘરમાં સૌને સુખ-શાંતિ મળે છે.