કેરાળી ગામ પાસે નદીમાં ફીણના ગોટા નજરે પડતાં ખેડૂતો લાલઘૂમ
જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી
જીપીસીબીના અધિકારીએ પણ પાલિકાની પોલ ખોલી: તપાસમાં ગટરના મેનહોલ ઉભરાતા હોવાની કબૂલાત
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે પ્રદૂષણના કારણે ઝેર સમાન બની જતાં ધરતીપુત્રોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. છેલ્લા ૪૦ વર્ષથી પ્રદૂષણ સામે ઝઝૂમતા કેરાળી અને લુણાગરાના ૬૦ થી ૭૦ જેટલા ખેડૂતોએ આજે ભાદર નદીના પટમાં ઉતરીને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ૧૦ દિવસમાં પ્રદૂષણનો કાયમી નિકાલ નહીં આવે તો જીપીસીબી કચેરીના ગ્રાઉન્ડમાં જ ‘ઉપવાસ છાવણી’ નાખવામાં આવશે અને આરપારની લડાઈ લડવામાં આવશે.
રોષે ભરાયેલા ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે, જેતપુરમાં સક્રિય થયેલા પ્રદૂષણમાફિયા એનકેન પ્રકારે પ્રદૂષિત પાણીના ટેન્કરો ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે. બીજી તરફ, જેતપુર નગરપાલિકાનું દૂષિત પાણી પણ સીધું નદીમાં છોડવામાં આવે છે. જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે અધિકારીઓ માત્ર લૂલો બચાવ કરે છે. ખેડૂતોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, અમારા બાપ-દાદાઓ આ પ્રદૂષણ સામે લડતા લડતા શહીદ થઈ ગયા, છતાં બહેરા-મૂંગા તંત્રના પેટનું પાણી હલતું નથી.
જીપીસીબીની કામગીરી સામે ખેડૂતોમાં એટલો અવિશ્વાસ છે કે, અધિકારીઓ સેમ્પલ લઈ ગયા બાદ રિપોર્ટમાં ‘ગોલમાલ’ કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી, ખેડૂતોએ જાતે જ પાણીનું એક સેમ્પલ ભરીને ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સુરક્ષિત રાખ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકારી રિપોર્ટમાં લીલાલહેર બતાવવામાં આવશે તો અમે અમારું સેમ્પલ રજૂ કરીશું.
ખેડૂતોએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જેતપુરમાં ભૂમાફિયાઓ સક્રિય છે, જે એનકેન પ્રકારે પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે. એટલું જ નહીં, શુદ્ધિકરણના નામે માત્ર નાટક ભજવાતું હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી સીધું જ નદીમાં છોડવામાં આવે છે અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર ‘લૂલો બચાવ’ કરે છે. શું જીપીસીબીએ નગરપાલિકાને પ્રદૂષિત પાણી છોડવાનો પરવાનો આપ્યો છે? તેવો સવાલ પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે અને અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જૈસે થે છે. ખેડૂતોએ જીપીસીબીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા સેમ્પલના રિપોર્ટ માટે હજુ 1-2 દિવસનો સમય માંગવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને અધિકારીઓ ગોળગોળ જવાબ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, તો ખેડૂતો ભાદર નદીના પટમાં અથવા જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ છાવણી નાખવામાં આવશે.
તંત્ર પરનો વિશ્વાસ હવે સંપૂર્ણપણે ઉઠી ગયો છે. જીપીસીબી સેમ્પલ લઈ જાય અને રિપોર્ટમાં ગોલમાલ કરે તેવી ભીતિ હોવાથી, આ વખતે ખેડૂતોએ “પૈસા સાચવે તેમ” પાણીનું એક સેમ્પલ ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સાચવી રાખ્યું છે. જીપીસીબીના અધિકારીઓએ રિપોર્ટ માટે બે દિવસનો સમય માંગ્યો છે, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે.
ખેડૂતોના વિરોધ બાદ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલીયાએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે, “અમે ૧૩ અને ૧૫ તારીખે તપાસ કરી હતી, જેમાં નગરપાલિકાના મેનહોલ ઉભરાતા જોવા મળ્યા હતા. આ અંગે ચીફ ઓફિસરને તાત્કાલિક મેનહોલ બંધ કરી પાણી એસટીપીમાં ડાયવર્ટ કરવા સૂચના અપાઈ છે. દેરડીધાર પાસેના પ્લાન્ટની પણ તપાસ કરીશું અને જો કોઈ કસૂરવાર જણાશે તો પગલાં લેવાશે.
ખેડૂતોનું અલ્ટીમેટમ: ૧૦ દિવસમાં પરિણામ નહીં તો આંદોલન
ખેડૂતોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ રિપોર્ટ માટે હજુ બે દિવસનો સમય માગે છે. અમે ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં ભાદર નદીમાં ઠલવાતું પ્રદૂષણ બંધ નહીં થાય, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે.


