જેતપુર ટેકસટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વેપારીઓનો હલ્લાબોલપીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં PGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેપારીઓની જાણ કે સંમતિ વગર જ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપ સાથે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં વેપારીઓએ PGVCL કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો આરોપ છે કે PGVCL દ્વારા જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યારે તેમને કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કરવામાં આવી નહોતી. વધુમાં, આ નવા મીટર લાગ્યા બાદ વીજ બિલમાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે, જેના કારણે વેપારીઓના બજેટ ખોરવાયા છે. વેપારીઓએ માંગ કરી છે કે આ સ્માર્ટ મીટર તાત્કાલિક દૂર કરી ફરીથી જૂના મીટર કાર્યરત કરવામાં આવે.
આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.ડી. પટેલે જણાવ્યું હતું કે, વેપારીઓની વ્યાપક રજૂઆતોને પગલે અમે PGVCL માં ધા નાખી છે. સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વેપારીઓની સંમતિ વિના કેમ લગાવાયા તે મોટો પ્રશ્ન છે. અમારી સ્પષ્ટ માંગ છે કે જૂના મીટર ફરી લગાવી આપવામાં આવે.
જૂના મીટરો ફરી લગાવવા શકય નથી : કાર્યપાલક ઇજનેર
PGVCLના કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવાએ આ મામલે જણાવ્યું હતું કે, સંમતિ વગર મીટર લગાવવા બાબતે સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ આપી પગલાં લેવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જૂના મીટર ફરી લગાવવા શક્ય નથી. બિલમાં વધારાની ફરિયાદના ઉકેલ માટે સ્માર્ટ મીટરની બાજુમાં ‘ચેક મીટર’ મૂકીને સરખામણી કરવાની ખાતરી આપી હતી.


