- સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
- હોસ્પિટલની બેદરકારીથી ઘટના બની હોવાનો આક્ષેપ
- અચાનક લિફ્ટ તુટતા 5 લોકો થયા હતા ઇજાગ્રસ્ત
જૂનાગઢના કેશોદમાં આવેલ એક હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાને કારણે કરુણાંતિકા સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, જુનાગઢના કેશોદમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લિફ્ટ તૂટતાં વૃદ્ધનું મોત થયું છે જ્યારે 5 અન્ય લોકો ઘાયલ થયા છે.
જાણવા મળી રહ્યું છે કે, કેશોદની સમર્પણ હોસ્પિટલમાં અચાનક લિફ્ટ તૂટી પડી હતી જેને કારણે એક 55 વર્ષીય વૃદ્ધ સહિત કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તુરંત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં, 55 વર્ષીય વૃદ્ધ ગોવિંદભાઈ ભેડાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
તો સમગ્ર, દુર્ઘટના મામલે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ વહીવટી તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું છે કે સમર્પણ હોસ્પિટલની બેદરકારીને કારણે સમગ્ર ઘટના બની હતી અને તેમના સ્વજને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો સાથે સાથે, હોસ્પિટલ સામે પગલા લેવા માટે પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે, મૃતક વૃદ્ધ સમર્પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા અને લિફ્ટ તૂટી પાડવાની દુર્ઘટના સર્જાતાં તેમણે જીવ ગુમાવવો પડ્યો છે.


