- ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીજીએ ભાવિકોની વેદનાને વ્યાસપીઠ પરથી વ્યક્ત કરી
- ગટરના પાણી કુંડમાં ભળે છે, જેથી દામોદરકુંડમાં પગ બોળવાનું પણ મન નથી થતું
- જુનાગઢના જોષીપરામાં કરાયું હતું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
જૂનાગઢમાં યોજાયેલી એક ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીજીએ હાલની દામોદરકુંડની સ્થિતિ અંગેનું વર્ણન કરીને ભાવિકોની વેદનાને વ્યાસપીઠ પરથી વ્યક્ત કરી હતી, તેઓએ કહ્યું કે, જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા તે દામોદરકુંડનો ઉદ્ધાર કરવામાં જૂનાગઢ નગરપાલિકા અને નેતાઓ નિષ્ફળ રહ્યા છે.
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં તાજેતરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં વ્યાસપીઠ પરથી કથાના અંતિમ દિવસે મનોજભાઈ શાસ્ત્રીજીએ વેદના સાથે કહ્યું કે, જૂનાગઢમાં ભાજપનું શાસન છે. એક આવું દામોદરકુંડનું સામાન્ય કામ કરી શકતા નથી. દામોદરકુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે ત્યાં જાવ તો તેમાં પગ બોળવાનું પણ મન થતું નથી .
જુનાગઢ નગરપાલિકાનો દોષ છે, આવડું મોટું તિર્થક્ષેત્ર, જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા એ દામોદરકુંડ કેવો હોવો જોઈએ, અહી તળેટીની તમામ ગટરોના ગંદા પાણી આવે છે. આ કાઈ વ્યાજબી છે. અમારે તળાવનું બ્યુટીફિકેશન ન થાય તો કાઈ નહી, પરંતુ એક અમારો દામોદરકુંડ અમોને સરખો કરી દયો તો પણ ઘણું છે.

અહી દેશ-વિદેશથી યાત્રાળુઓ કુંડમાં સ્નાન કરવા આવે છે. આવીને બધા નારાજ થાય છે. તેનું સૌથી મોટું કલંક નગરપાલિકાને લાગે છે. નગરપાલિકાને શું કહીએ, આપને તો વિનતી કરી શકીએ કે ભગવાન તમને સદબુધ્ધિ આપે અને બાર મહિના સુધી તેમાં શુદ્ધ જળ ભરવામાં આવે. અને જાળવણી રહે. સાક્ષાત પ્રભુ બિરાજે છે. તે દામોદરકુંડનો ઉદ્ધાર થવો જોઈએ.
હાલ આ શાસ્ત્રીજીનો વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ જ વાયરલ થયો છે, અને તેમણે વ્યાસપીઠ પરથી ભાવિકોની વેદનાને વ્યક્ત કરી હતી.


