ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના કોઠારી રવિદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુ ગઈકાલે વહેલી સવારે 95 વર્ષની જૈફ વયે બ્રહ્મલીન થયા છે.રવિદાસ બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સમગ્ર સેવક સમુદાય અને સંતસમાજ મોટી સંખ્યામાં પરબધામ આવી પહોંચ્યા હતા અને અશ્રુભીની આંખે રવિદાસ બાપુને સમાધી આપવામાં આવી હતી.
સેવા કાર્યોને વેગ આપતા રહેતા હતા
સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર જેની ધ્વજા અને રોટલો રક્તપિતના દર્દીઓ અને જરૂરિયાત મંદો માટે સદીઓથી પ્રસિદ્ધ છે તેવા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર પરબધામના કોઠારી રવિદાસબાપુએ અવિરત 75 વર્ષ સુધી પરબધામમાં સદાવ્રત, ગૌસેવા સહિતની અનેક સેવાઓ સંભાળીને પરબધામની પરંપરાને પોતાના જીવનનો મંત્ર બનાવી દીધો હતો. આ ઉપરાંત પરબધામના મહંત કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આશ્રમની ગરિમા અને સેવા કાર્યોને વેગ આપતા રહેતા હતા.દરેક કાર્યમાં રવિદાસ બાપુની સાદગી અને કર્તવ્યનિષ્ઠા દેખાઈ આવતી હતી.
રવિદાસબાપુની વિશાળ પાલખીયાત્રા નીકળી
બપોરે ચાર કલાકે રવિદાસબાપુની વિશાળ પાલખીયાત્રા નીકળી હતી.જેમાં હૈયુ દળાય એટલે મોટી સંખ્યામાં સેવકો તેમજ સૌરાષ્ટ્રના સાધુ-સંતો જોડાયા હતા આમ,અશ્રુભીની આંખે રવિદાસબાપુને અંતિમ વિદાય આપવામાં આવી હતી.પરબધામના મહંત કરશનદાશ બાપુએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન રવિદાસબાપુ હંમેશા સેવક સમુદાય અને યાત્રાળુઓની ખૂબ જ સંભાળ રાખતા હતા. તેમણે કરેલી સેવા પરબધામની ઝુંપડીઓના તમામ સાધુઓ અને દરેક સેવકો માટે પ્રેરણારૂપ બની રહેશે.ભવનાથ ખાતે આવેલ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે પરબધામના ઇતિહાસમાં રવિદાસબાપુ નું નામ એક અનોખા સેવાભાવી સંત તરીકે લખાશે.


