ભેંસાણના તડકા પીપળીયામાં રહેતા એક એડવોકેટ સહીત ત્રણ વ્યક્તિનું રફાળીયા પાસે આવેલી એક હોટેલ પાસેથી સાતથી આઠ જેટલી ગાડીમાં આવેલા અજાણ્યા પુરુષો અને મહિલાઓ સહિતનાએ કારમાં ઉઠાવી જઇને અપહરણ કરીને ભાગ્યાની હકીકત મળતાની સાથે જ પોલીસે નાકાબંધી કરીને ધંધુકા પાસેથી એડવોકેટ સહીત ત્રણેયને અપહરણકર્તાઓ પાસેથી મુક્ત કરાવ્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે હાલ ચાર શખ્સોની ધરપકડ કરી છે.
ટ્રસ્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવુતિનો ભાંડો ફૂટ્યો
ભેંસાણના તડકા પીપળીયામાં રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડિયા ઉ.૪૦ છ મહિના અગાઉ વલસાડના રાબડા ગામે આવેલ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ફરવા ગયેલા હતા, ત્યારે ત્યાં તેઓએ ૧૦૧ રૂપિયાનું દાન કર્યું હતું, જેની પહોંચ આપવામાં આવી હતી, પરંતુ ઘરે આવીને જોયું તો પહોંચમાં કોઈ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન નંબર કે ન હોવાથી બોગસ હોવાનું જણાતા સંજયભાઈએ તેની આરટીઆઈ કરીને માહિતી માંગી હતી, જેના આધારે વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગેરકાયદે પ્રવુતિનો ભાંડો ફૂટ્યો હતો.
બળજબરીથી બેસાડીને અપહરણ કરીને ભાગ્યા
અને જેથી ટ્રસ્ટ સંચાલિત દવાખાનું, સીલ કરવામાં આવ્યું હતું, અને કેન્ટીન સહીતના પાંચ એકમોને મસમોટો દંડ થતા આ ટ્રસ્ટને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડ્યું હતું, જેના પરિણામે તે મનદુઃખમાં આખીયે ઘટના બની હોવાનું પોલીસ દફતરે નોધાયું છે, જેમાં એડવોકેટ સંજયભાઈ ગઈકાલે બપોરે ૩ કલાકે બગસરા-જેતપુર હાઈવે ઉપર રફાળીયા પાસેની શ્યામ હોટેલ પાસે આવ્યા ત્યારે તેમનું અને સાથે રાજેશ શાહુ, અને રવિ પાસવાનનું અજાણી સાતથી આંઠ જેટલા વાહનોમાં આવેલા મહિલાઓ અને પુરુષોએ ધોકા મારીને બળજબરીથી બેસાડીને અપહરણ કરીને ભાગ્યા હતા.
ધંધુકા પોલીસની મદદ વડે ત્યાં તેમને આતરી લીધા
જે અંગેની ભેંસાણ પોલીસને જાણ થતા તેઓએ એસપીને જાણ કરી હતી, એસપી સુબોધ ઓડેદરાએ તાકીદે આસપાસના તમામ જિલ્લાઓમાં નાકાબંધી કરાવીને ટીમો રવાના કરી હતી, અને અપહરણકર્તાઓ જયારે ધંધુકા પાસે હોવાની હકીકત મળતા ધંધુકા પોલીસની મદદ વડે ત્યાં તેમને આતરી લીધા હતા. અને એડવોકેટ સહીત ત્રણેયને મુક્ત કરાવ્યા હતા. રસ્તામાં અપહરણ કરનાર ઈસમો એડવોકેટને આરટીઆઈ કરેલા કાગળો આપી દેવા ધમકીઓ આપતા હતા, અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
અપહરણ, ધાડ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ
હાલ પોલીસે આ કેસમાં અપહરણ કરનાર ઈસમો પૈકી પ્રશાંત સુરેશ ડેડુકીયા ઉ.૩૧ (રાબડા), કમલેશ ધીરુ રૂડાણી ઉ.૪૩ (નવસારી), મિત જગદીશ વેકરીયા ઉ.૨૯ (રાબડા) અને અજય હરીભાઈ બોઘરા ઉ.૩૮ (વડોદરા) ની ધરપકડ કરી છે, અને અન્ય પંકજ પાદરા, અનીલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અને અન્ય અજાણ્યા શખ્સો અને અજાણી મહિલાઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે પોલીસે સંજયભાઈની ફરિયાદ પરથી ભેંસાણ પોલીસમાં અપહરણ, ધાડ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: ઊર્જા વિભાગના કર્મચારીઓ માટે ઊર્જા મંત્રીનું એક મોટું નિવેદન


