કચ્છ જીલ્લામાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારે વરસાદને કારણે પાકમાં ખેડૂતોને થયેલી ભારે નુક્સાનીને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સહાય પેકેજ કરાવાની સાથે નુક્સાનીનો પણ સરવે કરાવવામાં આવ્યો હતો.જેમાં ભારે વરસાદને કારણે ત્રણ તાલુકામાં ૮૬,૬૮૦ હેક્ટરમાં અને કમોસમી વરસાદને કારણે બે તાલુકામાં કુલ ૪૭,૪૫૫ હેક્ટર મળીને કુલ ૧,૩૪,૧૩૫ હેક્ટરમાં ખરીફ પાકને નુક્સાની થઈ હોવાનું બહાર આવ્યું હતું.બીજી તરફ, અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી કૃષિ સહાય માટે જીલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૬૮,૬૬૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી છે.
કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરાઈ
જીલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલાએ જણાવ્યું હતું કે,કચ્છમાં ભારે વરસાદથી અંજાર,ભચાઉ અને રાપરમાં ખેડૂતોને પાકમાં નુક્સાનીનો સામનો કરવો પડયો હતો.જેને ધ્યાને લઇને સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કૃષી સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.જેના પગલે ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.અંજાર અને ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોનાં ખરીફ પાકને નુક્સાની થવા પામી હતી.જેને ધ્યાને લઇને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરાઈ હતી. હાલે બંન્ને પેકેજ માટે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ભારે વરસાદને કારણે ૮૬,૬૮૦ હેક્ટરમાં પાકને નુક્સાની
કચ્છમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ખાસ કરીને અંજાર, ભચાઉ અને રાપર તાલુકામાં ખેડૂતોને ભારે નુક્સાનીનો સામનો કરવો પડયો હતો. જેને ધ્યાને લઇને વિભાગની ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ભચાઉમાં ૨૭,૮૪૩ હેક્ટર અને રાપરમાં ૫૮,૮૩૭ હેક્ટર મળીને કુલ ૮૬,૬૮૦ હેક્ટરમાં પાકને નુક્સાની થઇ હોવાનું ઉજાગર થયું હતું.
કમોસમી વરસાદને કારણે બે તાલુકામાં પાકને નુક્સાન થયું
કચ્છમાં નવેમ્બર માસમાં કમોસમી વરસાદ પડયો હતો. જેને કારણે જીલ્લાનાં અંજાર અને ભચાઉ તાલુકામાં પાકને સૌથી વધુ અસર જોવા મળી હતી. ખેડૂતોને થયેલી પાકની નુક્સાનીનો વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અંજાર તાલુકામાં ૩૩,૬૨૫ હેક્ટરમાં અને ભચાઉ તાલુકામાં ૧૩,૮૩૦ હેક્ટરમાં નુક્સાની મળીને કુલ ૪૭,૪૫૫ હેક્ટરમાં ખરીફ પાકને નુક્સાન થવા પામ્યુ હતું.
ભચાઉ તાલુકામાંથી ૧૪,૮૬૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી
ભચાઉ તાલુકામાં ભારે વરસાદને કારણે પાકને નુક્સાનીને ધ્યાને લઇને ખેતીવાડી વિભાગ દ્વારા કુલ ૧૩,૧૩૯ ખેડૂતોના ખરીફ પાકનો સરવે કરવામાં આવ્યો હતો. તાલુકામાં કુલ ૨૭,૮૪૩ હેક્ટરમાં નુક્સાની થવા પામી હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં તાલુકામાંથી કુલ ૧૪,૮૬૪ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. જ્યારે અંજાર તાલુકામાં માત્ર ૧ ગામમાં નુક્સાની હોય કુલ ૧૧૩ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે.
રાપર તાલુકામાં ૪૪,૩૬૧ ખેડૂતોનાં ખરીફ પાકનો સરવે કરાયો
ભારે વરસાદને કારણે રાપર તાલુકામાં પાક નુક્સાની અન્વયે પણ ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તાલુકાનાં ૪૪,૩૬૧ ખેડૂતોનાં ખરીફ પાકનો સરવે કરવામાં આવ્યો હતો. આ તાલુકામાં કુલ ૫૮,૮૩૭ હેક્ટરમાં પાકને નુક્સાની થવા પામી હોવાનું ધ્યાને આવ્યું છે. જેને અનુલક્ષીને કૃષી રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩૬,૨૯૯ ખેડૂતો દ્વારા પાકની સહાય માટે ઓનલાઇન અરજી કરી છે.
અંજાર તાલુકાનાં ૧૨,૯૩૧ ખેડૂતોએ પાક સહાય માટે અરજી કરી
કમોસમી વરસાદને કારણે ખરીફ પાકને નુક્સાનીને લઇને વિભાગની ટીમ દ્વારા અંજાર તાલુકામાં કુલ ૧૬,૪૦૦ ખેડૂતોનાં પાકનો સરવે હાથ ધરવામાં આવ્યો હતો. તાલુકામાં કુલ ૩૩,૩૨૫ હેક્ટરમાં નુક્સાની થઇ હોવાનું સરવે દરમ્યાન ધ્યાને આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયુ છે અને અત્યાર સુધીમાં તાલુકામાંથી કુલ ૧૨,૯૩૧ ખેડૂતો દ્વારા પાક સહાય માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે.
ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોનાં પાકનુ ધોવાણ કર્યું
કમોસમી વરસાદને કરાણે ભચાઉ તાલુકામાં પણ ખરીફ પાકને નુક્સાની થવા પામી હતી. જેને ધ્યાને લઇને વિભાગની ટીમ દ્વારા સરવેની કામગીરીમાં કુલ ૭,૫૨૫ ખેડૂતોના પાકનો સરવે કરવામાં આવ્યો હતો. તાલુકામાં કુલ ૧૩,૮૩૦ હેક્ટરમાં ખરીફ પાકને નુક્સાની થવા પામી હોવાનું ઉજાગર થવા પામ્યુ હતું. જેને લઇને સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષી રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં તાલુકામાંથી કુલ ૪,૪૫૭ ખેડૂતોએ પાક સહાય માટે ઓનલાઇન અરજી કરી છે.


