- વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ અપાયા આદેશ
- રાજ્યના 21 જળાશયો પર ચાલતી બોટિંગને બંધ કરાવાઈ
- બોટિંગ કરારો સુધારો કર્યાની નકલ મોકલવા સૂચના
વડોદરા ખાતે થોડા મહિનાઓ પહેલા એક કરુણાંતિકા સર્જાઇ હતી. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં અનેક માસૂમ બાળકો સહિત શિક્ષકોના મોત થયા હતા. આ મામલો ફરી ગરમાયો છે. અમદાવાદનું આકર્ષણ ગણાતી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતી રિવરક્રૂઝ અને કાંકરિયા લેક ખાતે ચાલતું બોટિંગ બંધ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ કાંકરિયા બોટિંગ અને સાબરમતી નદીમાં ચાલતી અક્ષર રિવરક્રૂઝ બંધ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા 21 જળાશયો પર ચાલતું બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટના બાદ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે બોટિંગ સુવિધાઓનું સંચાલન કરતી સંસ્થાઓને બોટિંગ કરારોમાં સુધારા કર્યાની નકલ મોકલવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
હરણી બોટ દુર્ઘટનામાં થાય હતા 12 બાળકોના મોત
ઉલ્લેખનીય છે કે ગત 18 જાન્યુઆરીના રોજ વડોદરામાં હરણી-મોટનાથ બોટ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. 14 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 20 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે.


