વિક્રાંત મુનિ અગત્સ્ય ઋષિને પૂછે છે, `હે મુનિવર્ય! સ્વર્ગ અને મોક્ષ આપનાર, આરોગ્ય અને ઐશ્વર્ય આપનાર, સંતતિ અને સંપત્તિ સાંપડે એવું વ્રત કયું છે?’
અગત્સ્ય ઋષિ કહે છે, પૂર્વે વિશ્વેશ્વર મહાદેવે આ વ્રતની વિધિ અને મહિમા કાર્તિકેયને કહ્યો હતો અને કાર્તિકેય ભગવાને આ અનુપમ અને પરમ પવિત્ર પાપનાશન વ્રત’ મને સવિસ્તર કહ્યું હતું.
આ વ્રતને પાપનાશન વ્રત એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે આ વ્રતનું શ્રવણ અથવા પઠન કરવાથી ગૌહત્યાનું પાપ, બ્રહ્મહત્યાનું પાપ, કોઇને ઝેર આપ્યાનું પાપ, ગુરુપત્ની સાથેના વ્યભિચારનું પાપ તેમજ કોઈનું ઘર સળગાવી દીધું હોય તેનું પાપ અને અન્ય નાનાં-મોટાં પાપો વગેરેથી વ્રતધારી મુક્ત થાય છે. આ પવિત્ર પુણ્યમય અને પાપનાશન કપિલા વ્રતનો મહિમા વિશેષ છે.
વ્યતિપાત, રોહિણી નક્ષત્ર અને ભાદરવા વદ છઠ્ઠનો દિવસ. આ દિવસે કપિલા ષષ્ઠીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ચૈત્ર, વૈશાખ અને આસો વદ છઠ્ઠના દિવસે પણ જો રોહિણી નક્ષત્ર અને વ્યતિપાત હોય તો પણ કરી શકાય છે. આ વ્રતના દિવસે કપિલા ગાયની સ્તુતિ કરવી, અર્ચન-પૂજન કરવું અને ગૌમાતાની પ્રદક્ષિણા કરવી. આ વ્રત કરવાથી સર્વ દુઃખોનો નાશ થાય છે. આ વ્રતના દિવસે સૂર્યોપાસનાનું મહત્ત્વ વિશેષ છે.
આ વ્રત કરનાર વ્રતીએ પ્રાતઃકાળે ઊઠી જળાશયે, નદી કે તળાવના કાંઠે જઈને પંચદ્રવ્યથી સ્નાન કરવું, ત્યાર પછી સર્વ મનોવાંછિત ફળ આપનારા આ કપિલા વ્રતનો સંકલ્પ કરવો. સૂર્યોદય થાય ત્યારે સૂર્યનારાયણની પૂજા કરવી.
બ્રહ્માજીએ આ વિશ્વનું સર્જન કર્યું છે, તેમાં સૂર્ય એટલે કે તેજ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુ આ પાંચેય તત્ત્વોને પરમબ્રહ્મની પંચ વિભૂતિ ગણી છે. આ પાંચ વિભૂતિ તત્ત્વો દ્વારા જ વિશ્વનું નિર્માણ થયું છે અને વિશ્વનું વિશદ-સ્વરૂપ બંધાયું છે અને વિશ્વનો સઘળો વ્યવહાર ચાલે છે. વ્રતી જો કપિલા વ્રત(છઠ્ઠ)ના દિવસે સૂર્યોપાસના અને ગાયત્રી મંત્રની ઉપાસના કરે તો જરૂરથી શુભ ફળ મળે છે. આ વ્રતના દિવસે ઉપવાસ કરવાનું ઘણું માહાત્મ્ય છે તેમજ શક્તિ અનુસાર દાન-પુણ્ય કરવું. આ વ્રત કરવાથી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કપિલા વ્રતની કથા આ પ્રમાણે છે.
કુશરાજાના વંશમાં થઈ ગયેલ વિશ્વામિત્ર રાજા એક વખત પ્રજાની સુખાકારી નિહાળવા પોતાનું લશ્કર લઇને નીકળી પડ્યા. ફરતાં ફરતાં વશિષ્ઠ ૠષિના આશ્રમમાં આવી ચઢ્યા. આ આશ્રમની અનુપમ શોભા નિહાળી તેઓ અતિ પ્રસન્ન થયા.
રાજા વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિને પ્રેમપૂર્વક વંદન કર્યાં. મુનિવર્યે વિશ્વમિત્રનો આદરસત્કાર કર્યો અને લશ્કરના માણસો વગેરેને આશ્રમમાં ઉતારા-પાણીની સુવિધા માટે પ્રબંધ કરી આપ્યો.
વશિષ્ઠ મુનિ પાસે એક શક્તિસ્વરૂપા કપિલા ગાય હતી. આ કપિલા ગાય કોઇ સામાન્ય ગાય ન હતી. તે પૃથ્વી પરની કામધેનુ હતી. આ અદ્ભુત અને અલૌકિક ગૌમાતા સર્વ મનોકામનાઓ પૂર્ણ કરતી હતી.
વશિષ્ઠ મુનિએ સ્નાનવિધિથી પરવારી કામધેનુની પૂજા કરી અને પછી પ્રાર્થના કરતાં કહ્યું, `હે કામધેનુ! હે ગૌમાતા! રાજા વિશ્વામિત્ર તેમના લશ્કર સાથે આશ્રમમાં પધાર્યા છે માટે તેમના ભોજનની વ્યવસ્થા કરો. તેમના માટે જાતજાતનાં અને ભાતભાતનાં ભોજન તૈયાર કરો.
ગૌમાતા કામધેનુએ જોતજાતાંમાં બત્રીસ જાતનાં ભોજનના થાળ ભરી દીધા અને તેત્રીસ જાતનાં શાક તૈયાર કર્યા. સુવર્ણના પાટલા ઢળાયા, સુવર્ણની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું. સોનાના કળશમાં જળ અપાયું. વિશ્વામિત્ર અને તેમનું લશ્કર આ રિદ્ધિ-સિદ્ધિ જોઇ આશ્ચર્યમુગ્ધ બની ગયું.
વિશ્વામિત્રે તપાસ કરાવી ત્યારે તેમને જાણવા મળ્યું કે વશિષ્ઠ મુનિ પાસે કામધેનુ ગાય છે તેનો આ ચમત્કાર છે. પારકું રાજ્ય અને પારકી સંપત્તિ હડપ કરી લેવાની વૃત્તિવાળા વિશ્વામિત્રને કામધેનુની આ કરામતથી કુબુદ્ધિ સૂઝી. તેમને થયું કે આ ગાય તો રાજાને ત્યાં જ શોભે.
વિદાય લેતા સમયે વિશ્વામિત્રે કહ્યું, `હે મુનિવર્ય! આપની પાસે જે કામધેનુ ગાય છે તે અમને આપો.’ વિશ્વામિત્ર રાજાના આ શબ્દો સાંભળી વશિષ્ઠ મુનિ પર જાણે વીજળી પડી! તેમને પોતાની ભૂલ સમજાઇ ગઇ. મારે આ રિદ્ધિ-સિદ્ધિ દર્શાવવાની જરૂર ન હતી. એમને કામધેનુની કૃપાથી ભોજન જમાડ્યાં એ ભૂલ કરી છે.
વિશ્વામિત્રે કહ્યું, `આ કપિલા ગાય એક અમૂલ્ય રત્ન છે, રત્ન હંમેશાં રાજા પાસે જ શોભે. માટે આ ગાય મને આપો. તેના બદલામાં જોઈએ તેટલી ગાયો માગી લો.’
મુનિએ કહ્યું, `એ શક્ય નથી. કામધેનુ મારી અન્નપૂર્ણા દેવી છે, એ વેપારનું સાધન નથી. મારો ધર્મ, મારું તપ, મારું જીવન, મારું સર્વસ્વ કામધેનુ જ છે.’
છતાં પણ વિશ્વામિત્ર ન માન્યા ને સત્તાનો ઉપયોગ કર્યો. વશિષ્ટ મુનિની પ્રાર્થના સાંભળીને કામધેનુએ ભાંભરીને એક ભયંકર હાકોટો કરીને વિશાળ સેના ઉત્પન્ન કરી. બંને સૈન્ય વચ્ચે યુદ્ધ થયું અને વિશ્વામિત્રના લશ્કરનો કચ્ચરઘાણ વળી ગયો.
આગળ જતાં વિશ્વામિત્ર તપ કરીને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બને છે વાત ખૂબ જ પ્રચલિત છે.


