કરાચીમાં આવેલા ભૂકંપના કારણે મલીર જેલની દિવાલોમાં તિરાડ પડ્યા બાદ કેટલાક કેદીઓ તે ભાગ તોડીને નાસી છૂટયા છે. માત્ર ભાગી છૂટવાના કારસ્તાન ઉપરાંત જેલ કર્મચારીઓ ઉપર હુમલો કરીને તેમના શસ્ત્રો પણ ઝૂંટવી લીધા હતા. એક તબક્કે ગોળીબાર પણ કરાયો હતો. જેલમાં યુદ્ધ જેવો માહોલ ઊભો થઈ ગયો હતો.
કરાચીમાં આવેલા ભૂકંપના કારણે મલીર જેલની દિવાલોમાં તિરાડ પડ્યા બાદ 216 કેદીઓ તે ભાગ તોડીને નાસી છૂટયા છે. માત્ર ભાગી છૂટવાના કારસ્તાન ઉપરાંત જેલ કર્મચારીઓ ઉપર હુમલો કરીને તેમના શસ્ત્રો પણ ઝૂંટવી લીધા હતા. એક તબક્કે ગોળીબાર પણ કરાયો હતો. 1 કેદીનું મોત થયું છે, ત્રણ ઇજાગ્રસ્ત થાય હતા. પાંચ સુરક્ષા કર્મચારી પણ ઘાયલ થયા હતા.
કરાચીમાં 24 કલાકમાં આંચકા ચાલુ
કરાચીમાં 24 કલાકમાં ધરતીકંપના આંચકાનો દૌર ચાલુ હતો. લાંધઇ, શેરોપાઓ, કાયદાબાદ જેવા વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. સ્થાનિક હવામાન વિભાગના કહેવા મુજબ કીર્થર ફોલ્ટ લાઇન આ વિસ્તારોની નજીક હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા ચાલુ રહ્યા છે. છેલ્લો આંચકો સોમવારે રાત્રે 11.16 વાગ્યે 2.4 ની તીવ્રતાનો અનુભવાયો હતો. કંપન ચાલુ રહેવાના કારણે મલીર જેલની દિવાલોમાં તિરાડો પડી હતી. તેનો ગેરલાભ કેદીઓએ લીધો હતો. 80 કેદીને પકડી લેવામાં આવ્યા છે.
કરાચીમાં ઘરો પડ્યા, મિલકતોને નુકસાન
એક તરફ કેટલાય નાગરિકોના ઘર પડી ગયા હતા અને કરાચીમાં મિલકતોને નુકસાન થયું છે ત્યારે જેલની દીવાલોમાં પડેલી તિરાડો અને તૂટેલા ભાગોને તોડવાના કૃત્ય પણ કેદીઓએ કર્યા છે.
ગોળીબારમાં ત્રણ કેદી ઘવાયા
ભૂકંપના કારણે કેટલાક કેદીઓ તેમની બેરેકમાંથી બહાર નીકળી આવ્યા હતા એમ કારચીના પોલીસ નાયબ મહાનિરીક્ષક મોહમ્મદ હસન સહતોએ કહ્યું હતું. જેલના દરવાજા તોડીને બહાર આવી ગયેલા કેદીઓએ જેલ સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો અને તેમના હથિયારો પણ ઝૂંટવી લીધા હતા. પોલીસ અને કેદીઓમાં થયેલા ગોળીબારમાં ત્રણ કેદી ઘવાયા હોવાનું જેલ અધિક્ષક અરશદ હુસૈનએ ઉમેર્યું હતું. આ દરમિયાન ઘણા બંદીવાનો જેલમાંથી ભાગી છૂટયા હતા.
80 કેદી પકડાયા, જેલની બહાર રેન્જર્સનો બંદોબસ્ત
કરાચીની જેલમાંથી ભાગેલા કેદીઓની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે. કજાફી ટાઉન, શાહ લતીફ અને ભેંસ કોલોની સહિતના ભાગોમાંથી 80 ફરાર કેદીઓને પકડી લેવામાં આવ્યા છે. જેલની બહાર અર્ધલશ્કરી દળના રેન્જર્સને તહેનાત કરવામાં આવ્યા છે. તલાશી અભિયાન પણ ચાલુ રખાયું છે.
જેલમંત્રીએ નોંધ લીધી, અધિકારીની તપાસના આદેશ
દરમિયાન, ત્યાંના જેલમંત્રી અલી હસન ઝરદારીએ આ ઘટનાની નોંધ લીધી છે. આ ઘટના મામલે જેલ મહાનિરીક્ષક અને નાયબ મહાનિરીક્ષક પાસે અહેવાલ માંગ્યો છે. તમામ વિસ્તારોની ઘેરાબંદી કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીની બેદરકારી છે કે કેમ તેની પણ તપાસ કરાશે.