- શાળા કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી
- મજુર, વેપારીઓ તેમજ નોકરિયાતવર્ગને અવરજવરમાં તકલીફ
- હાલમાં આ બસ 10 દિવસ ચલાવીને બંધ કરાઇ છે
કરજણ ડેપો દ્વારા સાધલી પંથકની એસ.ટી.બસો ચલાવાતી હોય છે. પરંતુ કરજણ ડેપોના અંધેર વહીવટના કારણે એસટી નિગમને સારી આવક આપતી બસો બંધ કરી દેવાઇ છે.બંધ કરાયેલ તમામ બસો પ્રજા માટે આશીર્વાદરૂપ હતી. છતાં પણ આ બસો કરી દેવાઇ છે.
કરજણ ડેપોમાંથી વર્ષોથી કરજણ રાજપીપળા જંબુસરની બસ વાયા સાધલી, સેગવા, પોઇચા થઈને આ બસ સવારે અને સાંજે બે ટાઈમ નિયમિત ચલાવાતી હતી. તેમાં આવક પણ ખુબ જ સારી આવતી હતી. છતાં પણ બંધ કરાઇ છે. હાલમાં આ બસ 10 દિવસ ચલાવીને બંધ કરાઇ છે. કરજણ ડેપો વહિવટકર્તા દ્વારા મનસ્વી રીતે નિણય લઈને આ બસ બંધ કરાઇ છે. મુસાફરોની મશ્કરી કરાઇ હોય તેમ લોકમુખે ચર્ચા છે.
કરજણ ડેપોના વહીવટકર્તાઓ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને આ બસ હજી સુધી ચાલુ કરેલ નથી. ગમે તે સમયે એસટી બસો ચલાવાય છે. પછી ઓછી આવકનું ખોટું બહાનું કાઢીને આવી બસો બંધ કરાય છે. તે જ રીતે કરજણ ડેપો દ્વારા સંચાલિત કરજણ છોટાઉદેપુર કરજણની બસ પણ બંધ કરાઇ છે. આ બસ કરજણથી ઉપડીને વાયા કુરાલી-સાધલી સેગવા, ડભોઇ બોડેલી, પાવીજેતપુર થઈને છોટાઉદેપુર જતી હતી. આ બસમાં છોટાઉદેપુર કવાંટ બોડેલી તેમજ મધ્યપ્રદેશના મજૂરીયાતવર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી હતી. જે હાલમાં સદંતર બંધ કરી દેવાઇ છે. માં નર્મદા કાંઠાના પવિત્ર યાત્રાધામ ચાંણોદ ખાતેની પણ બે ટાઈમ બસ બંધ કરી દેવાઇ છે. જેના કારણે સુરત, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર તરફ્થી આવતા મુસાફ્રોને ચાણોદ જવા માટે ખૂબ જ તકલીફ્ પડતી હોય છે. કરજણ ડેપો માંથી વર્ષોથી ચાલતી 12:30 કલાકની કરજણ સાધલી કરજણની બસ બંધ કરી દેવાઇ છે. જેના કારણે સ્કૂલ કોલેજ તેમજ ITIના વિદ્યાર્થીઓને તકલીફ પડે છે.


