- સ્ક્વોડ જોઈ ભડકેલા સ્કૂલના આચાર્યએ ટીમ હટાવવા હવાતિયા માર્યા
- આ સ્કૂલ સાથે ભાજપના એક યુવા નેતા પણ મેનેજમેન્ટમાં જોડાયેલા છે
- અમારી સ્કૂલમાં કેમ સ્ક્વોડની ફાળવણી કરવામાં આવી છે
સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણ બોર્ડ દ્વારા તેમજ તમામ જિલ્લાના કલેક્ટર દ્વારા સ્ક્વોડની ટીમો ફાળવવામાં આવી છે. વિરમગામની કે.બી. શાહ વિનય મંદિર સ્કૂલમાં સ્ક્વોડની ટીમ ફળવાતાં આખુયે મેનેજમેન્ટ અકળાયું હોવાની વિગતો સામે આવી હતી. સ્ક્વોડમાં મુકેલા અધિકારીની પરીક્ષા સમયે ચાંપતી નજર અને 100 ટકા ઉપસ્થિતિ જોતાં સ્કૂલના આચાર્ય લાલઘૂમ થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહી, આચાર્ય દ્વારા તો શિક્ષણ બોર્ડ સુધી એવી રજૂઆતો કરવામાં આવી હતી કે, આ પ્રકારની અમારી સ્કૂલમાં કેમ સ્ક્વોડની ફાળવણી કરવામાં આવી છે. આ અધિકારી તો બે બ્લોકની વચ્ચે ખુરશી ઢાળીને જ બેસી રહ્યા છે. સુત્રોના જણાવ્યાં મુજબ આ સ્કૂલના મેનેજમેન્ટ સાથે ભાજપના યુવા નેતા પણ જોડાયલા છે.
વિરમગામની કે.બી. શાહ વિનય મંદિર સ્કૂલમાં અત્યારે ધો. 10 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના પરીક્ષા કેન્દ્ર ફાળવેલા છે. ધોરણ.12 સાયન્સનું કેન્દ્ર છેલ્લા બે વર્ષથી આપવામાં આવેલું છે. જોકે આ કેન્દ્રમાં ગેરરીતિની આશંકાઓ જતાં બોર્ડ દ્વારા તેમજ સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા સ્ક્વોડની ટીમ મૂકવામાં આવી હતી. સ્ક્વોડમાં સરકારના એક અધિકારીની ફાળવણી કરાતાં આ અધિકારી બરોબર પરીક્ષા શરૂ થાય એ પહેલા જ ત્યાં ઉપસ્થિત થઈ ગયાં હતા. એટલું જ નહી, સ્ક્વોડમાં આવેલા અધિકારી ચા-નાસ્તો કરવાની કોઈ જ તસ્દી લીધા વિના તેમને સોંપેલી જવાબદારી નિભાવવામાં એટલા મક્કમ રહ્યાં કે સ્કૂલ આચાર્યના પેટમાં તેલ રેડાયું હતુ. અધિકારી પરીક્ષા સમયે બે બ્લોકની વચ્ચે જ ખુરશી રાખીને બેસી જતાં આચાર્ય અકળાયાં હતા. તેમને શરૂઆતમાં તો તેમની ઊંચી પહોંચ હોવાના અનેક હવાતીયા મારવા છતાં કોઈ મેળ ન પડતા શિક્ષણના અધિકારીઓ સુધી પણ ફરિયાદ પહોચાડી હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું કે, આચાર્ય એવી પણ શેખી મારતાં ફરે છે કે, આપણી સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર આવ્યાં બાદ વિરમગામના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચુ આવી રહ્યું છે તેમજ ઈજનેર અને ડોક્ટરો પણ બની રહ્યાં છે.


