- કેરળનું સત્તાવાર નામ બદલાઈને હવેથી કેરલમ્ નામ થઈ જશે
- કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી બાદ કેરળનું નામ બદલાઈ જશે
- કેરળ વિધાનસભામાં સોમવારે સર્વસંમતીથી એક પ્રસ્તાવને બહાલી
છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય, વિસ્તાર, શહેરનું નામ બદલવાની પરંપરા શરૂ થઈ છે. યુપીમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાયું હતું. તેમજ મદ્રાસનું નામ ચેન્નઈ કરાયું બોમ્બેનું નામ બદલીને મુંબઈ કરવામાં આવ્યું છે આ ક્રમમાં હવે કેરળનું નામ બદલાઈ જશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેરળ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કેન્દ્ર પાસે દેશના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં દક્ષિણ રાજ્યનું નામ કેરળમાંથી બદલીને ‘કેરળમ’ કરવાની માંગ કરી હતી.
ઠરાવને આગળ ધપાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યને મલયાલમમાં ‘કેરળમ’ કહેવામાં આવે છે અને મલયાલમ ભાષી સમુદાયો માટે એકીકૃત કેરળ બનાવવાની માંગ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ જોરદાર રીતે ઉઠાવવામાં આવી હતી. પરંતુ બંધારણની પ્રથમ યાદીમાં આપણા રાજ્યનું નામ કેરળ લખેલું છે. આ વિધાનસભા કેન્દ્રને બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તેનું નામ બદલીને કેરલમ્ કરવા વિનંતી કરે છે. આ વિધાનસભા વિનંતી કરે છે કે બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને કેરલમ કરવામાં આવે.
આ બીજી વખત હતું જ્યારે રાજ્ય વિધાનસભાએ રાજ્યના નામમાં ફેરફારની માગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો. વિધાનસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહે ગયા વર્ષે ઓગસ્ટમાં સર્વસંમતિથી સમાન ઠરાવ પસાર કર્યો હતો અને તેને કેન્દ્રને સુપરત કર્યો હતો. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમાં કેટલાક ટેકનિકલ ફેરફારો સૂચવ્યા હતા.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે અગાઉની દરખાસ્તમાં કેટલાક ફેરફારોની જરૂર હતી. શાસક એલડીએફ અને વિપક્ષ કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ બંનેના સભ્યો દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. UDF ધારાસભ્ય એન શમસુદ્દીને દરખાસ્તમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, જેને સરકારે ફગાવી દીધા હતા. આ પછી વિધાનસભાના અધ્યક્ષ એએન શમસીરે તેને સર્વસંમતિથી પસાર જાહેર કર્યું.