- ખાલિસ્તાન સમર્થકોએ ભારત સામે શંકાની સોય તાકી
- નિજ્જરના જે ખાસ માણસના ઘર પર ફાયરિંગ થયું છે તેનું નામ સિમરનજીતસિંઘ
- સિમરનજીત જે કંઇ કરી રહ્યો છે તેનાથી રોષે ભરાઇને આ બધું કરાયું છે
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યા મામલે ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વચ્ચે નિજ્જરના એક ખાસ માણસના કેનેડા સ્થિત ઘર પર ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. નિજ્જરની કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગત 18 જૂને ગોળીઓ મારીને હત્યા કરાઇ હતી. કેનેડાના મીડિયાના અહેવાલો મુજબ નિજ્જરના જે ખાસ માણસના ઘર પર ફાયરિંગ થયું છે તેનું નામ સિમરનજીતસિંઘ છે. તેના ઘરની દીવાલો પર તથા ઘરની બહાર પાર્ક થયેલી કાર પર પણ ગોળીઓના નિશાન છે અને કારને નુકસાન પહોંચ્યું છે. કેનેડાની પોલીસે બનાવની પુષ્ટિ કરતા કહ્યું કે સાઉથ સરેમાં સિમરનજીતસિંઘના ઘર પર ફાયરિંગ થયું છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા નથી થઇ. ખાલિસ્તાન સમર્થક જૂથો ભારત પર આરોપ લગાવતા રહે છે કે ભારત જ આવા હુમલા કરાવી રહ્યું છે.
થોડા સમય અગાઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સંડોવણી હતી. તેમની આ ટિપ્પણીના પગલે બંને દેશો વચ્ચેના સંબંધો બગડયા હતા. ખાલિસ્તાન સમર્થક જૂથોનું કહેવું છે કે ગત વર્ષે 26 જાન્યુઆરીએ ભારતીય કોન્સ્યુલેટ બહાર થયેલા દેખાવોમાં નિજ્જરની ભૂમિકા હતી, જેના કારણે ભારતીય એજન્ટ્સે તેની હત્યા કરાવી. બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા કાઉન્સિલના પ્રવક્તા અને અલગતાવાદી મોહિન્દરસિંઘે પણ ભારત સામે આરોપ મૂકતા કહ્યું કે એવું લાગે છે કે આ બધા પાછળ ભારત સરકારનો કે તેના એજન્ટ્સનો હાથ છે. સિમરનજીત જે કંઇ કરી રહ્યો છે તેનાથી રોષે ભરાઇને આ બધું કરાયું છે.


