- અચાનક પડેલા વરસાદથી પતંગો પલળી ગયા
- પતંગના વેપારીઓને મંદી બાદ માવઠાનો માર
- વેચાણ માટે તંબુમાં મુકેલા પતંગો પલળ્યા
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનીનો આંકડો હજી સામે આવ્યો નથી. આ વચ્ચે પતંગ ઉદ્યોગને નુકસાન થવાની શકયતા જોવામાં આવી રહી છે. ખંભાતમાં કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગને મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
આ વચ્ચે અચાનક પડેલા વરસાદથી પતંગો પલળી ગયા છે. જેના કારણે દુકાન ઉપરાંત તંબુમાં રાખેલા પતંગો પણ પલળી ગયા છે. પતંગ વેપારીઓને મંદીનો માર હજી શાંત થયો નથી ત્યાં પતંગના વેપારીઓને માવઠાનો માર પડ્યો છે. માત્ર ખંભાતની જ પતંગનાં વેપારીઓને અંદાજે 10 લાખથી વધુનું નુકસાન થયું છે.
મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે આવેલા વરસાદના કારણે પતંગના વેપારીઓને નુકસાન જોવા મળી રહ્યું છે. ઉતરાયણને લઈ વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે પંડાલોમાં ખુલ્લામાં પતંગો-દોરા સહિત વિવિધ ચીજવસ્તુઓ મૂકી હતી. પરંતુ કમનસીબે કમોસમી વરસાદ કારણે અનેક વેપારીઓની પતંગો વરસાદમાં પલળી ગયા હતા. મોટા ભાગની પતંગો વરસાદમાં પલળી જતાં વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે.

તેમજ ડભોઇ પંથકમાં કમોસમી વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. શિયાળુ પાક ઘઉં, ચણા, કપાસ સહિત પાકને નુકસાન થયું હોવાની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. તો બીજી તરફ ઠંડીનું જોર વધતાં ઝૂંપડાવાસીઓ અને ફૂટપાથ ઉપર રાત પસાર કરતા લોકોની દયનીય હાલત થઇ ગઇ હતી. અનેક લોકોએ તાપણાં સળગાવી ઠંડીથી રાહત મેળવવાની ફરજ પડી હતી.


