તમારા ભૌતિક શરીરની અંદર સાત મૂળભૂત કેન્દ્રો છે જે જીવનનાં સાત પરિમાણો અથવા જીવનનો અનુભવ કરવાનાં સાત પરિમાણોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાત ચક્રો છે : મૂલાધાર, જે પેરિનિયમ એટલે કે ગુદાદ્વાર અને જનનાંગ વચ્ચેની જગ્યા પર સ્થિત છે; સ્વાધિષ્ઠાન, જે જનન અંગની જરા ઉપર છે; મણિપુરક, જે નાભિની જરા નીચે છે; અનાહત, જે પાંસળીઓ જ્યાં મળે છે તેની જરા નીચે છે; વિશુદ્ધિ, જે ગળાના ખાડામાં આવેલું છે; આજ્ઞા, જે ભ્રમરોની વચ્ચે હોય છે; અને સહસ્રાર, માથાની ટોચ પરના એ સ્થાને છે જે બાળક જન્મે ત્યારે નરમ હોય છે, જેને બ્રહ્મરન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો તમારી ઊર્જાઓ મૂલાધાર ચક્રમાં પ્રબળ હોય તો તમારા જીવનમાં ખોરાક અને ઊંઘ સૌથી પ્રભાવી પરિબળો હશે. જો તમારી ઊર્જાઓ સ્વાધિષ્ઠાનમાં પ્રબળ હોય તો તમારા જીવનમાં ભોગ સૌથી વધુ પ્રબળ હશે – તમે ભોગની શોધ કરો છો, તમે ભૌતિક વાસ્તવિકતાનો ઘણી બધી રીતે આનંદ માણો છો. જો તમારી ઊર્જાઓ મણિપુરક ચક્રમાં પ્રબળ છે, તો તમે કામ કરવાવાળા છો; તમે વિશ્વમાં ઘણી વસ્તુઓ કરી શકો છો. જો તમારી ઊર્જાઓ અનાહતમાં પ્રબળ છે, તો તમે એક ખૂબ જ સર્જનાત્મક વ્યક્તિ છો. જો તમારી ઊર્જાઓ વિશુદ્ધિ ચક્રમાં પ્રબળ છે, તો તમે ખૂબ શક્તિશાળી બનો છો. જો તમારી ઊર્જાઓ આજ્ઞાચક્રમાં પ્રબળ હોય અથવા જો તમે આજ્ઞાચક્ર સક્રિય કરી લો, તો બૌદ્ધિક રીતે તમે આત્મજ્ઞાની છો. બૌદ્ધિક પ્રબુદ્ધતા તમને શાંતિ આપે છે. હજી સુધી તે અનુભવમાં આવ્યું નથી, પરંતુ તમારી અંદર એક બૌદ્ધિક પ્રબુદ્ધતા આવી છે, જે તમને તમારી બહાર ગમે તે થઈ રહ્યું હોય તો પણ તમારી અંદર શાંતિ અને સ્થિરતાની ચોક્કસ સ્થિતિમાં લાવે છે.
આ ફક્ત તીવ્રતાનાં સાત જુદા જુદા સ્તરો છે. જેનું જીવન માત્ર ખોરાક અને ઊંઘ વિશે છે તેના કરતાં ભોગ શોધનારના જીવનમાં વધુ તીવ્રતા હોય છે અને જે માણસ કામ કરવા માંગે છે, જે દુનિયામાં કંઈક બનાવવા માંગે છે, તેની પાસે ભોગની શોધનાર કરતાં ઘણી વધુ તીવ્રતા છે. આ ત્રણ લોકોની સરખામણીમાં એક કલાકાર કે સર્જનાત્મક વ્યક્તિ પોતાનું જીવન વધુ તીવ્રતાથી જીવે છે. જો તમે વિશુદ્ધિમાં જાઓ છો, તો તે તીવ્રતાનું તદ્દન અલગ પરિમાણ છે. જો તમે આજ્ઞા પર પહોંચો છો, તો ઘણું વધારે. જો તમે તમારા સહસ્રાર સુધી પહોંચો, તો અવર્ણનીય આનંદનો વિસ્ફોટ થશે. એક વાર તમારી ઊર્જાઓ સહસ્રાર સુધી પહોંચી જાય, તો તમે પરમાનંદથી છલકાઈ જશો. ત્યાં કોઈ બાહ્ય ઉત્તેજક નથી, ત્યાં કોઈ જ કારણ નથી, પરંતુ તમે બસ પરમાનંદથી છલકાવ છો, કારણ કે ઊર્જાઓ એક ચોક્કસ શિખરને સ્પર્શી ગઈ છે. તમારી અંદર ઘટિત થતો કોઈ પણ અનુભવ એ બસ તમારી જીવન ઊર્જાઓની ખાસ અભિવ્યક્તિ છે. ક્રોધ, પીડા, શાંતિ, આનંદ અને પરમાનંદ એ એક જ ઊર્જાની અભિવ્યક્તિના વિવિધ સ્તર છે. તો, ચક્રો સાત જુદાં જુદાં પરિમાણો છે જેના દ્વારા વ્યક્તિ અભિવ્યક્તિ મેળવી શકે છે.