- રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનું સસ્પેન્સ ખતમ
- ભાજપે કરી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત
- પહેલીવાર ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્મા બનશે સીએમ
ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની પસંદગી કરી દેવામાં આવી છે. ભાજપ તરફથી ધારાસભ્ય દળની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના અન્ય સિનિયર નેતાઓની હાજરીમાં ભજનલાલ શર્માના નામની જાહેરાત કરવામાં આવી છે.
બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન
ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. વસુંધરા રાજેના નજીકના ઉમેદવારની ટિકિટ કાપીને પહેલીવાર ભજનલાલ શર્માને સાંગાનેર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભજનલાલ શર્માની શાનદાર જીત થઈ હતી. ભજનલાલ શર્મા રાજસ્થાનના બ્રાહ્મણ સમુદાયના પ્રમુખ આગેવાન ગણાય છે. તેઓ, રાજસ્થાન ભાજપ સંગઠનમાં મોટી પકડ ધરાવે છે. એટલું જ નહિ ભજનલાલ રાજસ્થાન ભાજપના પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે.
પહેલીવારના ધારાસભ્ય બનાવાયા મુખ્યમંત્રી
પહેલવાર ધારાસભ્ય બનીને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનનાર ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભજનલાલની સંપત્તિની વાત કરીએ તો તેઓ કરોડપતિ છે અને તેમની પાસે કુલ 1.40 કરોડની સંપત્તિ છે. તો સાથે સાથે તેમના માટે 35 લાખનું દેવું પણ છે. વિધાનસભા ચૂંટણી સમયે આપેલ મિલકતને લઈને આપવામાં આવેલ સોગંદનામા મુજબ, રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની કુલ નેટવર્થ 1,15,000 રૂપિયાની રોકડ જ્યારે જુદી જુદી બેન્કોમાં તેમના અકાઉન્ટમાં 11 લાખ રૂપિયા ડિપોઝિટ પડ્યા છે. તો સાથે સાથે તેમના પર એક ક્રિમિનલ કેસ પણ નોંધાયેલો છે.
શર્માએ કોંગ્રેસના પુશપેન્દ્ર ભારદ્વાજને આપી હતી હાર
ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠકથી પહેલીવાર ચૂંટણી જીત્યા છે. ભાજપે 2023ની વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેના નજીકના મનાતા અને સ્ટેન્ડિંગ ધારાસભ્ય અશોક લોહાટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ટિકિટ આપવામાં આવી હતી. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુશપેન્દ્ર ભારદ્વાજને 48,081 વોટ જીતીને હાર આપી હતી.
ભજનલાલ શર્મા ભરતપુરના વતની
ભજનલાલ શર્મા ભરતપુરના વતની છે. સાંગાનેર બેઠક પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેમના પર આયાતી નેતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, તેમ છતાં ભજનલાલ શર્માએ મોત અંતર સાથે સાંગાનેર બેઠક જીતી લીધી હતી. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના માનવામાં આવે છે. રાજસ્થાનમાં સામાન્ય વર્ગ તરીકેના એક મજબૂત ચહેરા તરીકે રાજકીય પંડિતો તેમને સીએમ રેસમાં માનીને ચાલી રહ્યા હતા.
ભજનલાલ શર્મા પર એક કેસ પેન્ડિંગ
મીડિયા રિપોર્ટ મુજબ, ભજનલાલ શર્મા ઉપર એક સેશન્સ જજ નંબર 4, જયપુરમાં એક કેસ પેન્ડિંગ છે. ભજનલાલ શર્મા ઉપર આ કેસમાં IPCની કલમ 353, 149 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે 4 ડિસેમ્બર 2015ના રોજ ભજનલાલ શર્મા ઉપર આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.


