જિલ્લાના તમામ તાલુકા, ગામડાઓમાં રથ ફરીને નારી સ્વમાન માટે ભાજપને ઢંઢોળશે
ક્ષત્રિય સમાજની બેટી અને રોટી વિશે ટીપ્પણી કરનાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકીટ ભાજપ દ્વારા રદ ન કરાતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે લડત પાર્ટ-૨નો રણટંકાર કર્યો છે અને હવે આ લડત રૂપાલાના બદલે સીધી જ ભાજપ સામે આવી ગઇ છે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ એવો હુંકાર કર્યો છે કે, જ્યા ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે તેવી ઓછામાં ઓછી આઠ બેઠક પર ભાજપને ભારે પાડી દેશુ અને આ રણનીતિના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સ્વાભિમાન ધર્મરથ કાઢવામા આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ ગામડાંઓ, તાલુકા મથકે રથ ફેરવીને લડતને વધુ મજૂબત બનાવવા આજે શહેરના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરેથી ‘જય ભવાની, જય નારી શક્તિ’ના નારા સાથે સ્વાભિમાન ધર્મરથ પ્રસ્થાન કરવામા આવ્યો હતો.
વિરૂદ્ધ જનજાગૃતિ ધર્મ રથ યાત્રાનું આયોજન કરેલ છે તે અંતર્ગત રાજકોટમાં પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરેથી આજે સવારે ધર્મરથનું પ્રસ્થાન થયું હતું. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય અને આંતરરાષ્ટ્રીય રાજપૂત સંઘના પ્રમુખ પી.ટી. જાડેજા તથા રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ધર્મરથ રાજકોટના દરેક વોર્ડ અને રાજકોટ તાલુકાના દરેક ગામડામાં ફરશે અને નારી સમાજની અસ્મિતાની લડાઇમાં દરેક સમાજને જોડાવા આહવાન કરશે અને આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમજાવશે.
સમગ્ર ગુજરાતમાં સાત રૂટમાં ફરશે ક્ષત્રિય ધર્મરથ
રાજકોટમાં બે દિવસ બાદ એટલે કે તા.24મીથી ધર્મરથનો પ્રારંભ થશે. આ ધર્મરથને કોઇ રોકી નહીં શકે તમામ તાલુકા અને ગામડે-ગામડે સમિતિ બનાવવામાં આવશે જેના માધ્યમથી ભાજપના ઉમેદવારોને કારમી હાર અપાવવાના પ્રયાસ માટે પ્રચાર-પ્રસાર કરશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતા હેઠળ હવે ‘ધર્મ યુધ્ધ એ જ કલ્યાણ’ એ સંકલ્પ સાથે લડત આગળ વધશે. સમગ્ર ગુજરાતમાં સાત રૂટ ફરશે.
એ.જી.ચોક ખાતે ખુલ્યુ મધ્યસ્થ કાર્યાલય, ૧૦૦ ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ
ક્ષત્રિય સમાજની લડત પાર્ટ-૨નું રણશીંગુ ફૂંકાયા બાદ આજથી લડત માટે વિવાદોના એપી સેન્ટર એવા રાજકોટમાં લડત માટેનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્યુ છે. હવે દરેક વોર્ડવાઇઝ કાર્યાલય, ટીમની રચના અને ઘડાયેલા એજન્ડા મુજબ રૂપાલાને હરાવવાના પ્રયાસ માટેની રણીનીતિ મુજબ ક્ષત્રિય સમાજ આગળ વધશે. જેના ભાગરૂપે રાજકોટના એ.જી. ચોક ખાતે ક્ષત્રિય સમાજનાં કાર્યાલયનો પ્રારંભ થયો છે. સાથે અસ્મિતાની લડાઇમાં ક્ષત્રિય સમાજના 100 બહેનોએ પ્રતિક ઉપવાસ આંદોલનનો પણ પ્રારંભ કર્યો છે.


